Charotar Sandesh
ઈન્ડિયા

અટલ ટનલનું ૨૬ વર્ષનું કામ અમે ૬ વર્ષમાં પૂરું કરી બતાવ્યું : વડાપ્રધાન મોદી

વડાપ્રધાને રોહતાંગમાં દુનિયાની સૌથી લાંબી હાઇ-વે અટલ ટનલનું ઉદ્ધાટન કર્યું…
દેશની રક્ષાથી વધુ અમારા માટે કંઇ નથી, સૈનિકોની સુવિધા આપણી પ્રાથમિકતા છે, અટલજીનું સપનું સાકાર થયું, હિમાચલના લોકોની આતુરતાનો અંત, અટલજીની સરકારના ગયા બાદ આ ટનલનું કામ ભૂલાઈ ગયું…
૧૦ હજાર ફૂટની ઊંચાઈએ ૯.૦૨ કિ.મી. લાંબી ટનલનું મ્ર્ઇંએ નિર્માણ કર્યું…

રોહતાંગ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ’ નું ઉદ્ઘાટન કર્યું છે. હવે આ ટનલ સામાન્ય લોકોની અવરજવર માટે ખૂલશે. આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુર પણ હાજર રહ્યા હતા. આપને જણાવી દઇએ કે આ ટનલ સમુદ્ર સપાટીથી ૧૦,૦૦૦ ફૂટ ઉપર છે, જે લેહને મનાલીથી જોડે છે. આ ટનલ ભારત અને ચીનની સરહદથી બહુ દૂર નથી, તેથી તે વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વડાપ્રધાન મોદીએ હિમાચલમાં વિતાવેલા દિવસોને યાદ કર્યા. મોદી અવારનવાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે અહીં આવતા હતા. મોદીએ કહ્યું, “આજે માત્ર અટલ જીનું જ સ્વપ્ન પૂરું થયું નથી પરંતુ આજે હિમાચલ પ્રદેશના કરોડો લોકોની દાયકાઓ જૂની પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે. આજે મને અટલ ટનલનું લોકાર્પણ કરવાની તક મળી તે મારું સૌભાગ્ય છે. પીએમ મોદીએ કહ્યું કે આ ટનલ મનાલી અને કેલોંગની વચ્ચેનું અંતર ૩ થી ૪ કલાક ઘટાડશે. પર્વતનાં મારા ભાઈ-બહેનો સમજી શકે છે કે પહાડ પર ૩-૪ કલાકનું અંતર ઘટવાનો મતલબ શું હોય છે.
પીએમ મોદીએ કહ્યું કે વાજપેયી સરકાર ગયા પછી આ પ્રોજેક્ટ ઠંડો પડી ગયો હતો. તેમણે કહ્યું, “અટલજીએ ૨૦૦૨માં આ ટનલ માટે એપ્રોચ રોડનો પાયો નાંખ્યો હતો. અટલ જીની સરકાર ગયા બાદ આ કામને પણ ભૂલી જવાયું હતું. સ્થિતિ એવી હતી કે ૨૦૧૩-૧૫ સુધીમાં આ ટનલનું માત્ર ૧૩૦૦ મીટરનું કામ થયું હતું.
નિષ્ણાતો કહે છે કે ૨૦૧૪માં અટલ ટનલનું કામ જે ઝડપે કરવામાં આવી રહ્યું હતું તે જોતા આ ટનલનું કામ વર્ષ ૨૦૪૦ સુધીમાં પૂર્ણ થયું હોત. આજે તમારી જે ઉંમર છે તેમાં ૨૦ વર્ષ ઉમેરો ત્યારે છેક લોકોના જીવનમાં આ દિવસનું સપનું સાકાર થયું હોત.
મોદીએ કહ્યું કે પાછલી સરકારની અવગણના છતાં તેમની સરકારે ગતિ દેખાડી. તેમણે કહ્યું, “અટલ ટનલના કામમાં ૨૦૧૪ની સાલ પછી અભૂતપૂર્વ તેજી આવી હતી. પરિણામે જ્યાં દર વર્ષે અગાઉ ૩૦૦ મીટર ટનલ બની રહી હતી, તેની ગતિ વધીને ૧૪૦૦ મીટર વાર્ષિક થઈ ગઈ. માત્ર ૬ વર્ષમાં અમે ૨૬ વર્ષનું કામ પૂરું કરી લીધું.
પીએમ મોદીએ દૌલત બેગ ઓલ્ડી એરસ્ટ્રિપ બંધ થવા અંગે પણ સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું, “અટલ ટનલની જેમ, ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્‌સની સાથે આવો વ્યવહાર કરાયો. લદ્દાખમાં વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ એર સ્ટ્રીપ દોલત બેગ ઓલ્ડી ૪૦-૪૫ વર્ષથી બંધ રહી હતી. લાચારી શું હતી, શું દબાણ હતું, હું વિગતવાર જાણવા માંગતો નથી. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, અટલ જીની સાથે, એક બીજા પુલનું નામ પણ જોડાયેલું છે – કોસી મહાસેતુનું. અટલ જીએ બિહારમાં કોસી મહાસેતુનો શિલાન્યાસ પણ કર્યો હતો. ૨૦૧૪ માં સરકારમાં જોડાયા પછી અમે કોસી મહાસેતુનું કામ પણ ઝડપથી પૂરું કરાવ્યું. થોડા દિવસ પહેલા જ કોસી મહાસેતુનું પણ લોકાર્પણ કરાયું.
પીએમ મોદીએ કહ્યું, “સરહદના માળખાગત વિકાસ માટે સંપૂર્ણ તાકાત લગાવી દેવામાં આવી છે. રસ્તા બનાવાનું કામ હોય, પુલ બનાવાનું કામ હોય કે પછી ટનલ બનાવાનું કામ હોય, દેશમાં આટલા મોટા પાયે ક્યારેય કામ થયું નહોતું. સામાન્ય લોકોની સાથે આપણા સૈન્ય ભાઈ-બહેનોને પણ મોટો ફાયદો મળી રહ્યો છે.
તેમણે કહ્યું કે ‘અમારી સરકારના નિર્ણયો સાક્ષી છે કે તેઓ જે બોલે છે તે કરીને બતાવે છે. આપણા માટે દેશ હિતથી મોટું દેશની રક્ષા સૌથી મોટું આપણા માટે બીજું કંઇ નથી. તેમણે કહ્યું, “આધુનિક શસ્ત્રો બનાવવા, દેશમાં જ ભારતના શસ્ત્રો બનાવવા માટે મોટા સુધારા કરવામાં આવ્યા છે. લાંબા સમયની રાહ જોયા બાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હવે આપણી સિસ્ટમનો હિસ્સો છે. દેશની સેનાઓની જરૂરિયાતો પ્રમાણે પ્રોક્યોરમેંટ અને પ્રોડકશન બંનેમાં શ્રેષ્ઠ સમન્વય સ્થાપિત થયો છે.

Related posts

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૬,૪૮૮ પોઝિટિવ કેસ નોંધાયા…

Charotar Sandesh

મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, ટ્રેનમાં ફસાયેલ ૭૦૦ યાત્રિકોનું રેસ્ક્યૂ…

Charotar Sandesh

તાલિબાનોની સરકાર બનતાં વિશ્વમાં આતંક અને કટ્ટરવાદ વધશે : PM મોદી

Charotar Sandesh