સરકારી ચોપડે દર્શાવેલ આંકડા મુજબ ૧૬ કેસો નોંધાયા છે તેમજ આ છેલ્લા સપ્તાહમાં કુલ ૧૦૫ પોઝીટીવ કેસો નોંધાયા છે…
આણંદના નગરપાલિકાના પ્રમુખ રૂપલ વનિષભાઈ પટેલે પણ પોતે કોરોના સંક્રમિત હોવાનું જાહેર કર્યું છે…
ખાનગી હોસ્પિટલોમાં નોંધાયેલ કેસોની તપાસ કરવામાં આવે, તો પોઝીટીવ કેસોનો આંકડો વધી શકે છે..!
-
આણંદ જિલ્લામાં આજે વાસદમાં ૧, કરમસદમાં ૧, ખંભાતમાં ૧, તારાપુરમાં ૧ સહિત આણંદ શહેરમાં ૧ર કેસો નોંધાયા છે…
આણંદ : શહેર સહિત જિલ્લામાં કોરોનાનો કહેર હવે આસપાસના ગામડાઓમાં પણ પ્રવેશી રહ્યો છે, ત્યારે લોકોએ સતર્ક રહેવાની અપીલ કરવામાં આવે છે. છેલ્લા ૭ દિવસમાં ૧૦૫ જેટલા કેસો સરકારી ચોપડે નોંધાયા છે. આજે વધુ ૧૬ પોઝીટીવ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ આંકડો ત્રણ હજાર ૩૩ને આંબી ગયો છે. જોકે, આજે એક પણ વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવેલ નથી તેમજ અત્યાર સુધી બે હજાર ૮૯૨ નાગરિકો ડિસ્ચાર્જ થયા છે અને ૧૭ દર્દીઓના મોત નોંધાયા છે. હાલ ૧૨૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં હાલ વેક્સિનેશન અને ટેસ્ટિંગની કામગીરી વધારવામાં આવી છે.
-
રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના ૮ લોકોને ભરખી ગયો, ૨૨૫૨ નવા કેસ, મૃત્યુઆંક ૪૫૦૦એ પહોંચ્યો…
ગુજરાતમાં કોરોના હવે માતેલોસાંઢ બન્યો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે ૨૨૦૦થી વધુ એટલે કે ૨૪ કલાકમાં ૨૨૫૨ નવા કેસ નોંધાયા છે. જ્યારે સતત બીજા દિવસે ૮ના મોત થયા છે. જેમાં સુરતમાં ૬૭૭ અને અમદાવાદમાં ૬૧૨ નવા કેસ નોંધાયા છે. તેમજ ૧૭૩૧ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે સુરત શહેરમાં ૩, અમદાવાદ શહેરમાં ૩, રાજકોટ શહેરમાં ૧ અને પંચમહાલમાં ૧ મળીને કુલ ૮ દર્દીના મોત સાથે મૃત્યુઆંક ૪,૫૦૦ થયો છે.