જીલ્લા આરોગ્ય વિભાગ સંવેદનહીન ? શું રવિવારે તાવ ને પણ રજા હોય ? નાગરિકોનો વેધક સવાલ -જવાબ આપે તંત્ર…
દિવાળીના તહેવાર પછી અચાનક ઉમરેઠ પંથકમાં ડેન્ગ્યુ તાવે ફરી થી દેખા દીધી છે , ભેજવાળા વાતાવરણ નું કારણ હોય કે મચ્છરોના ઉપદ્રવનું પરંતુ ઉમરેઠની તમામ હોસ્પિટલો ખાસ કરીને ડેન્ગ્યુ પીડિત દર્દીઓથી ઉભરાઈ ગઈ છે, પંથકના સાચા- ખોટા દવાખાનામાં પણ આજ હાલત છે,તાજેતરમાં પરવટા ગામના યુવાનનું ડેન્ગ્યુના કારણે મૃત્યુ થયુ તે ઘટનાથી સમગ્ર ઉમરેઠ વિસ્તાર લગભગ ડરી ગયો છે, ખુદ આરોગ્ય વિભાગે આજે ત્રણ દર્દીઓને ડેન્ગ્યુ પોઝેટીવ જાહેર કર્યા છે પરંતુ આશ્ચર્ય એ છે કે ગુજરાત સરકાર દ્વારા ચલાવાતા ઉમરેઠના સરકારી દવાખાનામાં ડેન્ગ્યુ કે એ સિવાયની કોઈ તકલીફ ધરાવતો દર્દી જોવા નથી મળ્યો, કે પછી સરકારી આરોગ્ય વિભાગ ઉપર પ્રજાને ભરોસો જ નથી !
સરકાર દ્વારા ચુકવાતા લાખો રૃપિયાના પગાર તેમજ કરોડો રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરા પાડવા છતાં એક ”સમ” ખાવાનો દર્દી ઉમરેઠની સરકારી દવાખાનામાં નદારાત હતો,અહીં પુરુષ તેમજ મહિલા વોર્ડના તમામ ”ખાટલા” ખાલી જોવા મળ્યા હતા તેમજ ચાદર વગરના ગાદલા આરોગ્ય વિભાગની કામગીરીની ચાડી ખાતા હતા, તો વળી મહિલા તબીબ રજાના મૂડમાં હોય તેમ જણાઈ હતી.
રવિવારે તાવને પણ રજા હોય ? જીલ્લા તેમજ આરોગ્ય અધિકારીના ફોન સ્વીચ ઑફ !!
આજે રવિવાર સરકારી રજા હોવા છતાં ડેન્ગ્યુના વાવર થી ચિંતિત નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી,તેમજ ફોગીંગ મશીનો દ્વારા નગરના વિસ્તારોમાં મચ્છરો ભગાડવા ના ઉપાયો હાથ ધરવામાં આવ્યા હતા ,પરંતુ નાગરિકોના સ્વાસ્થ્યની જે વિભાગ ઉપર જવાબદારી છે અને ઉમરેઠ વિસ્તારમાં ડેન્ગ્યુના તાવ થી લોકો પીડિત છે તેવા સંજોગોમાં જીલ્લા તેમજ આરોગ્ય અધિકારીના ફોન સ્વીચ ઑફ આવતા, આ મામલે સરકારનું આરોગ્ય વિભાગ નાગરિકોના હિત અર્થે કેટલું સવેંદનશીલ છે તેનો જવાબ પ્રજાને મળી ગયો છે,ત્યારે ઉમરેઠમાં રહેતા સાંસદસભ્ય તેમજ ઉમરેઠના ધારાસભ્ય આરોગ્ય વિભાગના કાન ક્યારે આમળશે ? તેમજ રવિવારે તાવને રજા હોય તેવો પુછાઈ રહેલ નાગરિકો ના વેધક પ્રશ્ન આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓને કોણ પૂછશે ?
- નિમેષ પીલુન