આણંદ જિલ્લામાં નવનિયુકત કલેકટર શ્રી આર.જી. ગોહિલનું ઉષ્માભર્યુ સ્વાગત…
સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિલીપ રાણાની કાર્ય કુશળતાની સરાહના કરવામાં આવી…
આણંદ : આણંદ જિલ્લામાં કલેકટર તરીકે ફરજ બજાવી ગયેલ તત્કાલિન કલેકટર શ્રી દિલીપ રાણાની ગાંધીનગર ખાતે બદલી થતાં શ્રી રાણાના નેતૃત્વમાં આણંદ જિલ્લાને દરેક ક્ષેત્રમાં અગ્રેસર કરવા તેમજ રાજયના મુખ્ય મંત્રીશ્રીની પ્રેરણાથી જિલ્લામાં તારાપુર અને ખંભાત તાલુકામાં જન વિકાસ ઝુંબેશ થકી તેમની કાર્ય કુશળતાની જિલ્લાના પ્રજાજનોને પ્રતિતિ કરાવી હતી તેની જિલ્લાના સમગ્ર વહીવટી તંત્રએ ભારોભાર સરાહના કરી ગઇકાલે ભાવભરી વિદાય આપી હતી જયારે આણંદ જિલ્લામાં નવસારીથી બદલી થઇને કલેકટર તરીકે નિયુકતી પામેલ
શ્રી આર.જી. ગોહિલને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉષ્માસભર આવકાર આપવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલે તત્કાલિન કલેકટર શ્રી દિલીપ રાણાની કાર્ય કુશળતા અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા વર્ષોમાં આણંદ જિલ્લાને અગ્રેસર કરવાની કામગીરીની પ્રશંસા કરી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રી દિલીપ રાણાએ સમગ્ર વહીવટી તંત્ર તરફથી આપવામાં આવેલ સન્માન અને ઉષ્માભરી વિદાયને પોતાના જીવનનો શ્રેષ્ઠ સમય ગણાવી સૌના તરફથી મળેલ સાથ-સહકારથી જિલ્લામાં સારી કામગીરી કરી શકયો હોવાનું જણાવી ટીમ આણંદ પ્રતિ આભારની લાગણી વ્યકત કરી હતી.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે શ્રી દિલીપ રાણાના કાર્યકાળમાં જન વિકાસ ઝુંબેશ અંતર્ગત તારાપુર અને ખંભાત તાલુકામાં ખુબ જ ટૂંકાગાળામાં ૧.૧૫ લાખ અત્યંત ગરીબ પરીવારોને તેમના ઘર આંગણે જઈને વિવિધ સરકારી સેવા અને યોજના હેઠળ લાભો અપાવવામાં સફળ મેળવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષ કુમાર, જિલ્લા પોલીસ વડા શ્રી મકરંદ ચૌહાણ, નિવાસી અધિક કલેકટર શ્રી પી.સી. ઠાકોર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એમ. એસ. ગઢવી, સહિત તમામ મામલતદારશ્રીઓ અને જિલ્લાભરના મહેસુલી કર્મચારીશ્રીઓ દ્વારા તત્કાલિન કલેકટરશ્રી દિલીપ રાણાને વિદાય તેમજ વર્તમાન કલેકટર
શ્રી આર.જી. ગોહિલને આવકાર આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જિલ્લા પશુપાલન અધિકારી શ્રી સ્નેહલ પટેલ અને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચિરાગ પટેલ દ્વારા પણ તત્કાલિન કલેકટરશ્રી દિલીપ રાણાને વિદાય આપવામાં આવી હતી જયારે વર્તમાન કલેકટર શ્રી આર.જી. ગોહિલને ભાવસભસર આવકાર આપવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રંમનું સફળ સંચાલન શ્રી ચૈતન્ય સંઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જયારે અંતમાં અધિક નિવાસી કલેકટરશ્રી પી.સી. ઠાકોરે આભારવિધિ કરી હતી.