હ્યુન્ડાઇએ ધનતેરસના દિવસે ૧૨,૫૦૦ ગાડીઓની ડિલિવરી કરી…
ન્યુ દિલ્હી : ઓટો સેક્ટરમાં મંદીની વાતો વચ્ચે ધનતેરસ પર ગાડીઓના વેચાણમાં વધારો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ આ શુભ દિવસે માત્ર દિલ્હી-એનસીઆરમાં મર્સિડીઝ બેન્ઝે ૨૫૦ કારની ડિલિવરી કરી છે.
મર્સિડીઝ બેન્ઝ સિવાય હ્યુન્ડાઇ, કિયા મોટર્સ, એમજી મોટર્સે પણ ધનતેરસના દિવસે ૧૫ હજારથી વધારે ગાડીઓનું વેચાણ કર્યું છે. દેશની બીજી સૌથી મોટી કાર કંપની હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ જણાવ્યું છે કે, તેમણે શુક્રવારે ૧૨,૫૦૦ ગાડીઓની ડિલિવરી કરી હતી. ત્યાંજ કિયા મોટર્સે પોતાની નવી એસયુવી સેલ્ટોસની ૨,૧૮૪ ગાડીઓની ડિલિવરી કરી હતી. આવી જ રીતે એમજી મોટર ઇન્ડિયાએ જણાવ્યું છે કે, તેમણે તેમની એસયુવી હેક્ટરની ૭૦૦ ગાડીઓની ડિલિવરી કરી હતી. દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જણાવ્યું છે કે, ધનતેરસના દિવસે તેમનું વેચાણ સારું રહ્યું હતું.
હ્યુન્ડાઈના સેલ્સ એન્ડ માર્કેટિંગ હેડ વિકાસ જૈને જણાવ્યું છે કે, અત્યાર સુધી અમે દરરોજ ૨,૦૦૦ ગાડીઓની ડિલિવરી કરી રહ્યા છે. ધનતેરસના દિવસે અમે ૧૨,૫૦૦ ગાડીઓની ડિલિવરી કરી. સોના-ચાંદીના રીટેલ વેપારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે વેચાણમાં ૨૦થી ૫૦ ટકાનો ઘટાડો થયો છે. સોનાના ઊંચા ભાવને પગલે રિટેલ વેચાણ સામાન્ય રહ્યું હતું.