Charotar Sandesh
ઈન્ડિયા

નાગરિકતા કાયદા સાથે દેશના મુસલમાનોને કોઈ લેવા-દેવા નથી : વડાપ્રધાન મોદી

વડાપ્રધાને નાગરિકતા કાયદાના બહાને દિલ્હી ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યુ…

ન્યુ દિલ્હી : વડાપ્રધાન મોદીએ રવિવારે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં વિશાળ જનસભાને સંબોધી હતી આ સાથે જે તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર શંખ પણ ફૂંક્યો હતો. વડાપ્રધાન મોદીએ દેશમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) તેમજ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સના મુદ્દે દેશના વિવિધ ભાગોમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનો બદલ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું અને દિલ્હીમાં મુખ્ય પ્રતિસ્પર્ધી પક્ષ આપની પણ ઝાટકણી કાઢી હતી.

વડાપ્રધાને રેલી દરમિયાન ‘વિવિધતા મે એકતા, ભારત કી વિશેષતા’નું સૂત્ર પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપે એક નવો ઉદય થતો જોયો છે અને ૪૦ લાખ લોકોને પોતાના ઘરનો અધિકાર પ્રાપ્ત થયો છે. વિરોધીઓ પર પ્રહાર કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, દિલ્હી સરકારે ગેરકાયદે વસાહતો માટે કંઈજ કર્યું નથી પરંતુ મે નિશ્ચય કર્યો છે કે આ રીતે બધું ચલાવી લેવાશે નહીં. તેમણે કહ્યું કે, આમ આદમી સરકાર પાસે તમે ઘર માંગ્યું તો તેમણે દિલ્હીના પોશ વિસ્તારોમાં વીઆીપીઓને ૨,૦૦૦ જેટલા બંગલાઓ આપી દીધા. અમે તેને ખાલી કરાવ્યા, તેમને તેમના વીઆઈપી મુબારક હો, મારા વીઆઈપી તમે દિલ્હીવાસીઓ છો. છેલ્લા પાંચ વર્ષમાં મેટ્રો રેલના રૂટમાં ૨૫ કિ.મીનો નવો ઉમેરો કરાયો છે જે અગાઉ ૧૪ કિ.મી જ હતો. આપ સરકાર કામની આડે રોડા નાંખી રહી છે.

સીએએ વિરોધ પર વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ સહિતના વિપક્ષ પર હુમલો કરતા કહ્યુ હતુ કે, આ લોકો કેવી રીતે પોતાના સ્વાર્થ માટે કોઈ પણ હદે જઈ શકે છે તે તમે ગયા સપ્તાહે જોયુ જ છે. જે નિવેદનો અપાયા છે અને ખોટા વિડિયો બતાવીને ઉશ્કેરવાનો પ્રયાસ થયો છે તે તમે જોયુ છે. આ એક્ટ એવા લોકો પર લાગૂ થશે જે લોકો વર્ષોથી ભારતમાં જ રહી રહ્યાં છે. નવા શરણાર્થીને આ કાયદાનો ફાયદો નહીં મળે.

તેમણે કહ્યુ હતુ કે, સ્કૂલ બસો પર, ટ્રેનો પર હુમલો, વાહનો, દુકાનો સળગાવાઈ છે. ભારતના ઈમાનદાર કરદાતાના પૈસાની સપંત્તિને ખાક કરી દેવાઈ છે. આવા લોકોના ઈરાદા શું છે તે દેશ જાણી ગયો છે. હું એ લોકોને કહેવા માંગુ છું કે, તમને મોદી પસંદ ના હોય તો મોદીને ગાળો આપો, મોદીનુ પુતળુ ફૂંકો પણ દેશની સંપત્તિ, ગરીબોની રીક્ષા અને ઝૂંપડા ના સળગાવો.

મોદીએ પુછ્યું કે, દિલ્હીમાં સૈંકડો ગેરકાયદેસર કોલોનીઓને ગેરકાયદેસર ૪૦ લાખ લોકોને અધિકાર આપ્યો છે તો આમાં કોઈની જાતિ, ધર્મ પુછવામાં આવ્યો? તેમણે કહ્યું કે, “કેન્દ્ર સરકારની યોજનાઓનો ફાયદો આપવામાં કોઈનો ધર્મ પુછવામાં આવ્યો? કોઈની જાતિ પુછવામાં આવી? એક જ સત્રમાં બે બિલ પસાર થયા છે. એક બિલમાં દિલ્હીનાં ૪૦ લાખ લોકોને અધિકાર આપી રહ્યો છું અને આ લોકો જૂઠ ફેલાવી રહ્યા છે કે હું અધિકાર છીનવવા કાયદો બનાવી રહ્યો છું. આ જૂઠ ચાલવાનું નથી. દેશ સ્વીકારવાનો નથી. હું જૂઠ ફેલાવનારાઓને પડકાર આપું છું, મારા કામની તપાસ કરો. ક્યાંય દૂરદૂર સુધી પણ ભેદભાવની ગંધ આવે તો દેશની સામે લાવીને રાખો.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતમાં કોઈ ડિટેન્શન સેન્ટર નથી, તેઓએ કહ્યું કે જે લોકો દેશમાં જૂઠ ફેલાવી રહ્યા છે, અફવા ફેલાવી રહ્યા છે, આ લોકોને ઓળખવાની જરૂર છે. આ બે પ્રકારના લોકો છે. એક એ લોકો જેમની રાજનીતિ દશકાઓ સુધી વોટ બેન્ક ઉપર જ ટકેલી રહી છે અને બીજા એ લોોક જેમને આ રાજનીતિનો લાભ મળ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે વોટ બેન્કની રાજનીતિ કરનારા અને પોતાને ભારતના ભાગ્યવિધાતા માનનારા, આજે જ્યારે દેશની જનતા દ્વારા નકારી દેવામાં આવ્યા છે, તો તેઓએ પોતાના જૂના હથિયાર બહાર કાઢ્યા છે- ભાગલા પાડો, ભેદ કરો અને રાજનીતિમાં પોતાનો લાભ લો. પીએમ મોદીએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો ભારતના નાગરિક તે હિન્દુ હોય કે મુસલમાન, તેમના માટે નથી, આ વાત સંસદમાં પણ કહેવામાં આવી છે. પીએમે કહ્યું કે આ કાયદાનો આ દેશની અંદર રહેતા ૧૩૦ કરોડ લોકો સાથે કોઈ સંબંધ નથી.

પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીમાં લોકોને ઉશ્કેરનારી વાતો કહેવામાં આવી અને તેના માટે સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કર્યો છે. સોશિયલ મીડિયા પર આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પીએમે કહ્યું કે ભ્રમ ફેલાવનારા લોકો ઝ્રછછ પર ખોટું બોલી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, આ લોકો કેવી રીતે પોતાના સ્વાર્થ માટે, પોતાની રાજનીતિ માટે કઈ હદ સુધી જઈ રહ્યા છે, તે તમે ગયા સપ્તાહે પણ જોયું છે. જે નિવેદન આપવામાં આવ્યા, ખોટા વીડિયો, ઉશ્કેરનારી વાતો કહી, ઉચ્ચ સ્તરે બેઠેલા લોકોએ સોશિયલ મીડિયામાં નાખીને ભ્રમ અને આગ ફેલાવવાનો ગુનો કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે હું તેમની પાસેથી જાણવા માંગું છું કે શું જ્યારે અમે દિલ્હીની અસંખ્યા કૉલોનીઓને કાયદેસર કરવાનું કામ કર્યું તો કોઈને પૂછ્યું હતું કે તમારો ધર્મ શું છે, આપની આસ્થા કઈ પ્રકારની છે, તમે કઈ પાર્ટીના સમર્થક છો? પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો ખોટું બોલીને મુસ્લિમોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે.
વડાપ્રધાને કહ્યું કે સમસ્યાઓને લટકાવીને રાખવી અમારા સંસ્કાર નથી. તેઓએ કહ્યું કે કેટલાક શરમ વિહોણા લોકો ધીમી ગતિથી કામ કરીને લટકાવીને રાખે છે. પીએમ મોદીએ કહ્યું કે દિલ્હી સરકારે દિલ્હીવાળાઓની સમસ્યાાને ક્યારેય ઈમાનદારીથી ઉકેલવા માટે ઈચ્છા નથી દર્શાવી.

Related posts

ટાઇગર શ્રોફ સાથે કિસિંગ સીન અંગે અનન્યાએ આપ્યો ચોંકાવનારો જવાબ

Charotar Sandesh

ઓરિસ્સાના આ 11 જિલ્લાઓમાંથી આચારસંહિતા ઉઠાવી લેવામાં આવી, જાણો કારણ

Charotar Sandesh

બાળકો પર જાતિય સતામણીના કેસની સુનાવણી માટે દરેક જિલ્લામાં કોર્ટ બનાવો : સુપ્રીમ કોર્ટ

Charotar Sandesh