અગાઉ જીડીપી ગ્રોથ ૫.૩ ટકા રહેવાનું અનુમાન હતું…
કોરોના વાયરસના કારણે ભારતીય અર્થતંત્રને ખૂબ મોટું નુકસાન થશે,અનુમાનિત વૃદ્ધિ દરના હિસાબે ભારતમાં ૨૦૨૦માં આવકમાં ઝડપથી ઘટાડો નોંધાશે…
ન્યુ દિલ્હી : ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં ભારતના ગ્રોથ રેટને પોતાના અગાઉના અનુમાનને ઘટાડીને ૨.૫ ટકા કરી દીધો છે. અગાઉ મૂડીઝે ૫.૩ ટકા જીડીપી ગ્રોથ રેટ રહેવાનું અનુમાન કર્યું હતું. કોરોના વાઈરસના સંકટને લઈને મૂડીઝનું કહેવું છે કે, તેનાથી વૈશ્વિક અર્થ વ્યવસ્થાને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે.
કોરોના વાઈરસ અને તેને પગલે દેશ-દુનિયામાં અવર-જવર પર રોકને લઈને પણ આર્થિક નુક્સાન વધ્યુ અને તેના કારણે દેશનો આર્થિક વિકાસ દર ઘટવાનું અનુમાન છે. મૂડીઝે વર્ષ ૨૦૧૯માં દેશનો આર્થિક વિકાસ દર ૫ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
મૂડીઝે પોતાના ગ્લોબલ મૈક્રો આઉટલૂક ૨૦૨૦-૨૧માં જણાવ્યું કે, અનુમાનિત વૃદ્ધિ દરના હિસાબે ભારતમાં ૨૦૨૦માં આવકમાં ઝડપી ઘટાડો થઈ શકે છે. જેનાથી ૨૦૨૧માં ડોમેસ્ટિક ડિમાન્ડ અને આર્થિક સ્થિતિમાં સુધારાનો દર પહેલાથી વધું પ્રભાવિત થઈ શકે છે.
કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે આ સપ્તાહની શરૂઆતમાં ભારત સરકારે દેશમાં ૨૧ દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે. દેશમાં ૭૦૦ જેટલા કોરોના પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યા છે, જ્યારે ૧૭ લોકો મોતને ભેટ્યા છે. લૉકડાઉનના કારણે ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. લાખોની સંખ્યામાં મજૂરો અને શ્રમજીવીઓની રોજીરોટી છીનવાઈ ગઈ છે. આ ઉપરાંત રેલવે, વિમાન અને બસ જેવી સરકારી ટ્રાન્સપોર્ટ સર્વિસો પણ બંથ થઈ ગઈ છે.
વિશ્વભરમાં કોરોના વાઈરસથી મરનારા લોકોની સંખ્યા ૨૪૦૦૦ની પાર પહોંચી ચૂકી છે. મૂડીઝે જણાવ્યું કે, ૨૦૨૦માં વૈશ્વિક અર્થ વ્યવસ્થા સંકુચિત થશે અને તેમાં ૨૦૨૧માં તેજી જોવા મળી શકે છે. મૂડીઝને જણાવ્યા પ્રમાણે, ૨૦૨૦માં વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં વાસ્તવિક જીડીપીમાં ૦.૫ ટકાનો ઘટાડો નોંધાશે, જ્યારે કોરોના વાઈરસ સંકટ પહેલા ગત વર્ષે નવેમ્બરમાં મૂડીઝે વૈશ્વિક અર્થ વ્યવસ્થાના ૨૦૨૦માં ૨.૬ ટકાના દરે વધવાનો અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.