કાયમી કર્મચારીઓને કોઈ અસર પડી નથી…
મુંબઈ : દેશના ઓટોમોબાઈલ ઉદ્યોગમાં હાલ ફરી વળેલી આર્થિક મંદીને કારણે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝૂકી ઈન્ડિયામાં ૩૦૦૦થી વધારે કામચલાઉ કર્મચારીઓએ એમની નોકરી ગુમાવી દીધી છે. કંપનીના ચેરમેન આર.સી. ભાર્ગવે કહ્યું છે કે મંદીને કારણે કામચલાઉ કર્મચારીઓના કોન્ટ્રાકટ્સ રીન્યૂ કરવામાં આવ્યા નથી. કાયમી કર્મચારીઓને કોઈ અસર પડી નથી. ભાર્ગવે કહ્યું કે આ બિઝનેસનો એક ભાગ છે. જયારે માગણી વધે ત્યારે કોન્ટ્રાકટ પર વધારે કર્મચારીઓને રોકવામાં આવે અને જયારે માગણી ઘટી જાય ત્યારે એવા કર્મચારીઓની સંખ્યા ઘટાડી દેવામાં આવે. હાલ ફરી વળેલી આર્થિક મંદીને કારણે તેમજ ઉત્પાદનમાં કાપ મૂકાવાથી મારુતિ કંપનીમાં નોકરીઓમાં પણ કોઈ કાપ મૂકવામાં આવ્યો છે ખરો? એવા સવાલના જવાબમાં ભાર્ગવે ઉપર મુજબ જણાવ્યું હતું. એમણે કહ્યું કે મારુતિ સુઝૂકીમાં ૩૦૦૦થી વધારે હંગામી કર્મચારીઓએ નોકરી ગુમાવી છે.