ફ્યુચર ગ્રુપ સાથેનો સોદો રહેશે મોકુફ, એમેઝોનને મળી વચગાળાની રાહત…
મુંબઈ : એમેઝોનને પોતાના ભારતીય ભાગીદાર ફ્યૂચર ગ્રુપની વિરુદ્ધ રવિવારે એક વચગાળાની રાહત મળી છે. સિંગાપુરની મધ્યસ્થતા અદાલતે ફ્યૂચર ગ્રુપને પોતાના રિટેલ કારોબાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસ લિમિટેડને વેચવાથી વચગાળાની રોક લગાવી છે. ફ્યૂચર ગ્રુપના રિલાયન્સની સાથે ૨૪, ૭૧૩ કરોડ રુપિયાનો સોદો કરી રાખ્યો છે. એમેઝોને ગત વર્ષે ફ્યૂચર ગ્રુપની એક અસૂચીબદ્ધ કંપનીની ૪૯ ટકાની ભાગીદારી ખરીદવા પર સહમત થઈ હતી. આ સાથે એક શરત પણ હતી કે અમેઝોનના ૩થી ૧૦ વર્ષના સમયમાં ફ્યૂચર રિટેલ લિમિટેડની ભાગીદારી ખરીદવાનો અધિકાર રહેશે.
આ દરમિયાન દેવામાં ડૂબેલા કિશોર બિયાની સમૂહે પોતાનો રિટેલ સ્ટોર, જથ્થો અને લોજિસ્ટિક્સ કારોબારને હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને વેચવાનો કરાર કર્યો છે. જેના વિરુદ્ધમાં એમેઝોને મધ્યસ્થતા અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો. આ કેસમાં એકમાત્ર મધ્યસ્થ વીકે રાજાએ અમેઝોનના પક્ષમાં વચગાળાનો નિર્ણય સંભળાવ્યો છે. તેમણે હાલમાં ફ્યૂચર ગ્રુપના સૌદાને અટકાવ્યો છે. તેમણે કહ્યું કે આ મામલામાં મધ્યસ્થતા અદાલત અંતરિમ નિર્ણય પર ન પહોંચે ત્યાં સુધી સૌદો રોકી દેવામાં આવે. એમેઝોનના એક પ્રવક્તાએ આ અંગેના નિર્ણયની પુષ્ટિ કરી છે. એમેઝોને માન્યુ છે કે ફ્યૂચર ગ્રુપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સાથે સમજૂતી કરીને તેની સાથેના કરારનું ઉલંઘન કર્યુ છે.જો આ ડિલ પુરી થાય છે તો રિલાયન્સ ભારતના રિટેલ સેક્ટરમાં પોતાની સ્થિતિને બે ગણી કરવામાં મદદ મળશે.
બીજી તરફ આરઆરવીએલના ઉપયુક્ત કાયદાકીય સલાહકારે કહ્યું કે ફ્યૂચર રિટેલ લિમિટેડના વ્યવસાય અને સંપત્તિના અધિગ્રહણની પ્રક્રિયા શરુઆત કરી છે જે ભારતીય કાયદા અંતર્ગત છે. આ મામલે રિલાયન્સે કહ્યું હતું કે ફ્યૂચર ગ્રૂપના પ્રમોટર્સના શેરધારકો સાથેના કરાર અંગે એમેઝોન દ્વારા કરાયેલી આર્બિટ્રેશનની કાર્યવાહીમાં ઇમરજન્સી આર્બિટ્રેટર્સ દ્વારા આપવામાં આવેલા વચગાળાના આદેશથી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ માહિતગાર છે. ફ્યૂચર રિટેલ લિમિટેડની અસ્કયામતો અને વ્યવસાયના હસ્તાંતરણ માટે આરઆરવીએલ દ્વારા યથાયોગ્ય કાયદાકીય સલાહ લેવામાં આવી છે અને તે મુજબના હક્કો અને જવાબદારીઓ ભારતીય કાયદા અનુસાર સંપૂર્ણપણે અમલ થવાને યોગ્ય છે. આરઆરવીએલ તેના હક્કોનું નિર્વહન અને ફ્યૂચર ગ્રૂપ સાથે થયેલા કરાર તથા નિર્ધારિત યોજના મુજબ કોઈપણ પ્રકારના વિલંબ વગર આ સોદો પૂર્ણ કરવાનો ઈરાદો ધરાવે છે.