દેશમાં આજે જે પરિસ્થિતિ છે, તેને ધ્યાનમાં લેતા તમામ પ્રચારકોએ ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે…
વૃંદાવન,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક મોહન ભાગવતે કહ્યું કે દેશમાં આજકાલ જે મોબ લિંચિંગની હિંસક ઘટનાઓ થઈ રહી છે તે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને બદનામ કરવા માટેના કાવતરા સમાન છે. વૃંદાવનના વાત્સલ્ય ગામમાં યોજાયેલી સંઘની અખિલ ભારતીય સમાજ સદ્ભાવ સમિતિની બે દિવસીય બેઠકની શરૂઆત કરતા તેમણે ક્હ્યું કે ‘સમગ્ર દેશમાં હિન્દુ ધર્મ તેમજ સંસ્કૃતિની છબીને ખરડવા માટે શક્ય તેવા તમામ ષડયંત્રો રચાઈ રહ્યા છે. ક્યાંક મોબ લિન્ચિંગના નામ પર રાજકારણ રમીને સમાજમાં નફરત ફેલાવવાનું કામ થઈ રહ્યું છે તો ક્યાંક ગાયના નામ પર હિંસા થઈ રહી છે. કેટલાક રાજ્યોમાં એક યોજના અંતર્ગત ધર્મ પરિવર્તન પણ કરવામાં આવી રહ્યું છે. દેશમાં આજે જે પરિસ્થિતિ છે, તેને જોતા તમામ પ્રચારકોએ ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે.
મોહન ભાગવતે કહ્યું કે ‘હિન્દુ ધર્મની રક્ષા માટે વિભિન્ન મત-પંથો અને ઉપાસના પદ્ધતિઓના લોકોએ એક સાથે બેસીને સમાજમાં જાતિ તેમજ વર્ગો વચ્ચે ઉદ્ભવી રહેલા ભેદભાવનો અંત લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ત્રિપુરા અને મેઘાલય સહિતના તમામ રાજ્યોના પ્રતિનિધિઓએ એક સાથે મળીને આ અંગે ચર્ચા કરીને જરૂરી પગલા લેવા જોઈએ. જ્યારે આવું થશે ત્યારે નિશ્ચિત રીતે મોબ લિન્ચિંગની ઘટના પર કાબુ મેળવી શકાશે.