૨૬,૬૪૯ શિક્ષિત બેરોજગારો સાથે વડોદરાનો બીજો નંબર, સ્માર્ટ સિટી અમદાવાદ પ્રથમ…
ગાંધીનગર : વિધાનસભા સત્રના ત્રીજા અને અંતિમ દિવસે ગૃહમાં બેરોજગારી મામલે ખુલાસો થયો છે. રાજ્ય સરકારે ગુજરાતના ૧૬ જિલ્લામાં ૫ લાખ ૪૧ હજાર ૫૦૦ શિક્ષિત અને ૧૪,૫૨૯ અર્ધ શિક્ષિત બેરોજગારો હોવાનો સ્વીકાર કર્યો છે. આમ રાજ્યમાં કુલ ૫ લાખ ૫૬ હજાર ૨૯ બેરોજગાર નોંધાય છે. જેમાં સૌથી વધુ શિક્ષિત બેરોજગારો અમદાવાદ જિલ્લામાં ૩૯,૫૮૪ નોંધાયા છે. જ્યારે ૨૬,૬૪૯ બેરોજગારો સાથે વડોદરાનો બીજો નંબર છે. તેમજ ૨૨,૨૫૭ બેરોજગારો સાથે આણંદનો ત્રીજો નંબર છે. સરકારે ગૃહમાં બેરોજગારોના આંકડાઓ જાહેર કરતા જ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ હોબાળો મચાવ્યો હતો.
આ મામલે બળદેવજી ઠાકોરે પણ વિરોધ કરતા મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી બળદેવજીની વર્તુણૂંક સામે વાંધો ઉઠાવી અધ્યક્ષનું ધ્યાન દોર્યું હતું. તેમજ આ મુદ્દે ગૃહમાં ભારે હોબાળો મચી જતા અધ્યક્ષે તમામને શાંત રહેવા અને ગૃહનું કામ આગળ વધારવાની અપીલ કરી હતી. આ ઉપરાંત અર્ધશિક્ષિત બેરોજગાર મામલે પણ અમદાવાદ પહેલા નંબર પર છે. અમદાવાદ જિલ્લામાં ૪૨૭૪ બેરોજગારો છે, તેમજ ૧૯૩૬ બેરોજગારો સાથે બનાસકાંઠા બીજા નંબર પર અને ૧૫૮૮ બેરોજગારો સાથે પોરબંદર ત્રીજા નંબર પર છે.