નડિયાદ : વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવ પ્રકાશ સ્વામીને કોરોના થતા તેઓને સુરતની કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દેવ પ્રકાશ સ્વામી છેલ્લા ૧૦ દિવસથી વડતાલ સંપ્રદાયના મંદિરોની મુલાકાતે હતા. જે દરમ્યાન તેઓને કોરોનાનું સંક્રમણ લાગી જતા તેઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. રવિવારના રોજ સુરત ખાતે તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સ્થાનિક કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ બોર્ડના ચેરમેન દેવ પ્રકાશ સ્વામીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હરિભક્તોમાં ચિંતાની લાગણી વ્યાપી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ દેવપ્રકાશ સ્વામી છેલ્લા ૧૦ દિવસથી વડતાલ સંપ્રદાયના જુદા જુદા મંદિરોની મુલાકાતે હતા. જે દરમ્યાન તેઓ સૌરાષ્ટ્ર, સારંગપુર, વડતાલ અને સુરત ખાતેના મંદિરોની મુલાકાત લીધી હતી. અહીં તેઓએ સત્સંગના કાર્યોમાં પણ ભાગ લીધો હતો.
જે દરમ્યાન તેઓ કોરોનાના સંક્રમણમાં આવ્યા હતા. ગત શનિવારના રોજ તેઓની તબિયત લથડી હતી. જે દરમ્યાન તેઓનો કોરોનાના લક્ષણો દેખાતા તેઓનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રવિવારે રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓનો સુરતની જ કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.