મુંબઇ : બોલિવૂડમાં સલમાન ખાન વિશે એમ કહેવાય છે કે તે મનમોજી છે અને ક્યારે શું કરી બેસે તે અંગે કાંઈ કહી શકાય નહીં. તેની ફિલ્મ રાધે તૈયાર થઈ ગઈ છે અને પરિસ્થિતિ સામાન્ય બને એટલે આ ફિલ્મ તેના ફેન્સ સુધી પહોંચી જશે. હાલમાં કોરોનાને કારણે ઘણી ફિલ્મની રિલીઝ અટકી પડી છે અને તેમાં રાધેનો પણ સમાવેશ થાય છે. એમ કહેવાય છે કે ઇદ વખતે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.
રાધે ફિલ્મ અંગે તાજેતરમાં ઘણી વાતો થઈ રહી છે. એક વાત તો તેના ઓટીટી પ્લેટ ફોર્મ પર રિલીઝ અંગે હતી. બોલિવૂડના તમામ પ્રોડ્યુસર ઓટીટી પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યા છે. તો બીજી તરફ થિયેટરના માલિકો આંસુ વહાવી રહ્યા છે. પણ તેમને સાંત્વના આપનારું કોઈ નથી.
સિંગલ સ્ક્રીનના માલિકોને સૌથી વધારે કમાણી સલમાન ખાનની ફિલ્મોથી થતી હોય છે. રાધે ફિલ્મની સૌથી વધુ તો આ લોકો રાહ જોઈ રહ્યા છે. રાધે ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે તેવી અટકળે ધમાલ મચાવી દીધી હતી. આ માટે સલમાન ખાનને ૨૫૦ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. આ એવી જંગી ઓફર છે જેનાથી કોઇ પણ વિચલીત થઈ જાય. પણ સલમાન ખાને એક મિનિટમાં જ આ ઓફર નકારી કાઢી અને તેને ફગાવીને કહી દીધું કે રાધે ફિલ્મ માત્ર સિનેમાઘરમાં જ રિલીઝ કરાશે. ડાયરેક્ટર પ્રભુદેવા પણ સલમાનખાન સાથે સહમત છે.