શિક્ષક એ સમાજનો ઘડવૈયો જ નહીં કરોડરજ્જુ પણ છે – ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
આણંદ : રાજયના ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આપણી ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણ અને શિક્ષકોની પરંપરા વર્ષોથી ચાલી આવી છે જેને આપણે આજદિન સુધી ટકાવી રાખી છે, કારણ કે કોઇપણ રાષ્ટ્રનું મૂલ્યાંકન તેની સંપતિથી નહીં પણ તે રાષ્ટ્ર કેટલું શિક્ષિત છે તેના આધારે થાય છે તેમ જણાવી શિક્ષક એ સમાજનો ઘડવૈયો જ નહીં કરોડરજ્જુ પણ હોવાનું કહ્યું હતું.
આજે આણંદના બાકરોલ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે પ્રખર તત્વચિંતક, રાજપુરૂષ, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ ઉપરાંત દેશના શ્રેષ્ઠ શિક્ષક તરીકે જેમની ખ્યાતિ ફેલોયેલી છે તેવા પ્રખર શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે ગૌરવરૂપ અને ઉત્કૃષ્ટ સેવા આપનાર આણંદ જિલ્લા–તાલુકાના શ્રેષ્ઠ ૨૦ શિક્ષકોનું રાજયના ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યાલયના સંતોની ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ મુલાકાત લઇ તેઓના આશીર્વાદ મેળવ્યા હતા
સાંસદ શ્રી મિતેષભાઇ પટેલએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેઓ જયારે રાજયના મુખ્ય મંત્રી હતા ત્યારે જ શિક્ષનું ઉર્ધ્વીકરણ થાય અને શિક્ષક અને તેમના કાર્યનું યોગ્ય સન્માન થાય તેવી વ્યવસ્થા ગોઠવી હોવાનું જણાવી શિક્ષણમાં આધુનિકતા જરૂરી હોઇ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરી હોવાનું કહ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી પીન્કીબેન ઠાકોર, જિલ્લા પોલીસ વડા શ્રી અજીત રાજિયન,અગ્રણી શ્રી વિપુલભાઇ પટેલ અને મયુરભાઇ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. ડી. દેસાઇ, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકો, જિલ્લાની વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો-શિક્ષિકાઓ વગેરે હાજર રહ્યા હતા. જયારે અંતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી નિવેદિતાબેન ચૌધરીએ આભારવિધિ કરી હતી.
Other News : ખુશખબર : આણંદ જિલ્લો ૧૭ માસ બાદ કોરોનામુક્ત બન્યો : ૧૫ દિવસમાં એક પણ કેસ નહીં