ગાંધીનગર : દિવાળી વેકેશન પુરુ થતાં હવે શિક્ષણમંત્રી દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે, જેમાં ગુજરાતમાં આવતીકાલથી ધો. ૧થી ૫ની સ્કૂલો શરૂ થશે. આ અંગે રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે. જો કે હાજરી મરજીયાત રાખવામાં આવી છે. સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું પડશે.
ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે
આ પહેલા વર્ષ ૨૦૨૦માં કોરોના સંક્રમણની શરૂઆત થતા રાજ્યમાં ૧૫ માર્ચ, ૨૦૨૦થી સ્કૂલો બંધ કરવામાં આવી હતી. આમ હવે ૨૦ મહિના બાદ ધોરણ ૧થી ૫ની ઓફલાઈન સ્કૂલો શરૂ થશે.
શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ સુરત ખાતે યોજેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલ કે, રાજ્ય સરકારની અસરકારક કામગીરીને પરિણામે વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓનુ શિક્ષણ બગડે નહીં એ માટે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમાં આવતીકાલ ૨૨મી નવેમ્બરથી સ્કૂલોમાં ધો.૧ થી ૫ના વર્ગો શરૂ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. બાલમંદિર અને આંગણવાડીના ભૂલકાઓને શિક્ષણ માટે આગામી સમયમા યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
Other News : રાજ્યમાં ચોમાસા જેવો માહોલ : ગુજરાતના ૧૧૩ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો