ગુરુવારે હોસ્પિટલમાં રહેલા એક માત્ર દર્દીને સારવાર બાદ રજા આપી દેવાઈ
આણંદ : શહેરીજનો સહિત જિલ્લાવાસીઓ માટે ખુશખબર સામે આવી છે, જેમાં બીજી લહેરમાં આણંદ જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો હતો. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી હતી. ઓક્સિજનની પણ અછત સર્જાઇ હતી. પરંતુ સંક્રમણમાં ઘટાડો થતાં જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી એક પણ કેસ કોરાનાનો નોંધાયો નહોતો. છેલ્લે સારવાર લઈ રહેલ એક દર્દીને ગઈકાલે હોસ્પિટલમાંથી રજા આપી દેવાતા લગભગ ૧૭ માસ બાદ આણંદ જિલ્લો કોરોના મુક્ત બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લા આરોગ્ય વિભાગમાં છેલ્લાં સત્તર માસમાં કોરોના વાયરસના ૯૬૨૭ પોઝિટીવ કેસો નોંધાયા છે. જેમાંથી ૯૫૭૮ લોકોએ સારવાર બાદ કોરોના વાયરસને મ્હાત આપી સાજા થયા હતા અને ૪૯ જેટલા દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કોરોના દર્દીઓને સારવાર આપવા માટે સરકારી અને ખાનગી હોસ્પીટલોની પણ સેવા લેવામાં આવી હતી. દર્દીઓને સારવાર આપવા માટે જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આણંદ જિલ્લામાં ચાલતી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવામાં આવતા હતા. પરંતુ છેલ્લાં ૧૫ દિવસથી આણંદ જિલ્લામાં એકપણ કોરોનાનો પોઝિટીવ કેસ નોંધાયો નથી.
લગભગ એક માસથી આણંદની ખાનગી હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર લઈ રહ્યો ન હતો. પંદર દિવસથી માત્ર ચાર દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા હતા. એક સપ્તાહથી માત્ર એક જ દર્દી હોમ આઈસોલેશન હેઠળ હતો. આ દર્દીને સારું થતા ગઈકાલે તેને કોરોનામુક્ત જાહેર કરાયો છે.આમ આણંદ જિલ્લામાં સત્તર માસ બાદ એક પણ નવો પોઝીટીવ કેસ અને એકપણ કોરોના દર્દી હાલમાં સારવાર હેઠળ ન હોઈ આણંદ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે.
Other News : ચેક બાઉન્સ થવાના કેસમાં આરોપીને ૧૦ માસની સજા ફટકારતી ઉમરેઠ કોર્ટ : જાણો વિગત