વડોદરા : વડોદરા જિલ્લામાં નોકરી અને વિઝા અપાવવાની લાલચ આપીને ૩૧ લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર ભેજાબાજ સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.જેમાં ભેજાબાજે કેનેડાના વિઝા અને માસિક અઢી લાખ રૂપિયા પગારની નોકરી અપાવવાની લાલચ આપીને યુવાન પાસેથી ૧.૮૦ લાખ રૂપિયા પડાવ્યા હતા.
ડભોઇના સિંધ્યાપુરા ગામમાં રહેતા રમીઝરાજા નાસીરહુશેન સિંધી(ઉ.૨૩)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ચિંતન ઉર્ફ ચેતન પટેલે અમારી સાથે ઘર જેવો સંબંધ બાંધીને મને કેનેડામાં તેની ઓળખાણ હોવાનું જણાવ્યું હતું અને કેનેડાના વર્ક પરમિટ વિઝા અને કેનેડામાં મહિને અઢી લાખ રૂપિયાના પગારની નોકરી અપાવવાની લાલચ આપી હતી અને મારી પાસેથી ૧.૮૦ લાખ રૂપિયા અને મારો ઓરિજિનલ પાસપોર્ટ લીધા હતા. જે પરત ન આપીને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.
આ પહેલા ભેજાબાજ ચિંતન ઉર્ફ ચેતન પટેલ સામે પાણીગેટ, જેપી રોડ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઇ ચૂકી છે, જેમાં ચિંતને ૩૧ લાખથી વધુની છેતરપિંડી કરી હતી અને પાણીગેટ પોલીસે આરોપી ચિંતનની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે ચિંતનના ૩ સાગરીતોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
વાઘોડિયા તાલુકા જેસિંગપુરા ગામનો વતની અને હાલમાં એ-૧૮, શ્રી સોસાયટી, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ, વડોદરા ખાતે રહેતા ચિંતન ઉર્ફ ચેતન પ્રભુદાસ પટેલ સામે રૂપિયા ૫.૪૫ લાખની છેતરપિંડીની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકમાં નોંધાઇ હતી. પાણીગેટ પોલીસે ફરિયાદ થયાના ગણતરીના કલાકો ભેજાબાજ ચિંતન ઉર્ફ ચેતન પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે પોલીસે તેના સાગરીતોની શોધખોળ શરૂ કરી હતી.
દરમિયાન પાણીગેટ પોલીસ મથકના પી.આઇ. કે.પી. પરમાર અને તેમના સ્ટાફે બાતમીના આધારે ચિંતન ઉર્ફ ચેતન પટેલના સાગરીતો વિશાલ નવનિતલાલ તપોધન(રહે. બી-૧૬૮, સાંઇદીપનગર સોસાયટી, ન્યુ વી.આઇ.પી. રોડ, વડોદરા), દિક્ષીત વિપીનભાઇ સોલંકી (રહે. ૪૫૧, આણંદનગર, પાણીની ટાંકી પાસે, કારેલીબાગ, વડોદરા) અને જયરાજ જાલમસીંગ બારીયા (રહે. બી-૨૧, રાજદીપ સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા)ની ધરપકડ કરી હતી.
ઠગ ચિંતન ઉર્ફ ચેતને વાઘોડિયાના લોકોને પણ સસ્તુ મકાન અપાવવા અને યુ.કે.ના વિઝા અપાવવાના નામે છેતરપિંડી કરી હતી
વિશાલ તપોધને ગેંડા સર્કલ પાસે સારાભાઇ કમ્પાઉન્ડ સ્થિત એટલાન્ટીક કે-૧૦ બી- ટાવરમાં ૨૧૭ નંબરની ઓફિસ ભાડેથી રાખી હતી. અને તેમાં રાજકીય પાર્ટીની ઓફિસ શરૂ કરી હતી. અને તે સાથે પાસપોર્ટ વિઝાનું કામ શરૂ કર્યું હતું. અને ભેજાબાજ ચિંતન ઉર્ફ ચેતન પટેલ સાથે મળી બોગસ દસ્તાવેજો બનાવી લોકોને વિઝા અને નોકરી અપાવવાના નામે છેતરપિંડી શરૂ કરી હતી.
દિક્ષીત સોલંકીએ પોતાની કારેલીબાગ ન્યુ કોમ્પ્લેક્ષમાં એસ.બી.- ૧૬, માં ગ્રાફિક્સ પોઇન્ટ નામની દુકાનમાં ચિંતન ઉર્ફ ચેતન પટેલ સાથે મળી ઓફિસના કમ્પ્યુટરમાં કેનેડા ખાતેના વર્ક પરમિટના ખોટા લેટરો, લોકોના બોગસ વિઝા,ર ONGCમાં નોકરીના બેગસ લેટરો તૈયાર કર્યાં હતા. ચિંતન ઉર્ફ ચેતન પટેલ પકડાયા બાદ તેણે પોતાના કમ્પ્યુટરની હાર્ડ ડીસ સાથે ચેડાં કરી પુરાવાનો નાશ કર્યો હતો. જ્યારે જયરાજ બારીયા અમીતનગર સર્કલ પાસે આવેલ પી.સી. પટેલ નામની ઓફિસમાં ગ્રાફિક્સ ડિઝાઇનર તરીકે નોકરી કરતો હતો.
તે દરમિયાન તેણે ONGCના બોગસ ઓર્ડરો તેમજ બોગસ વિઝા બનાવ્યા હતા. પાણીગેટ પોલીસે તમામ સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Other News : વડોદરા શહેરમાં એક જ દિવસમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયા ૫૬ કેસ નોંધાયા