આણંદ : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ સમગ્ર આણંદ જિલ્લામાં તા. ૩૧/૦૩/૨૦૨૩ સુધી હથિયારબંધી તથા સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્યો કરવા ઉપર મનાઇ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
આ જાહેરનામા મુજબ તા.૩૦/૦૩/૨૦૨૩ના રોજ રામનવમીનો તહેવાર તથા તા.૧૪/૦૩/૨૦૨૩થી તા.૨૯/૦૩/૨૦૨૩ સુધી એસ.એસ.સી/એચ.એસ.સી.ની પરીક્ષા હોઇ, આ સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે સમગ્ર આણંદ જિલ્લામાં તા. ૩૧/૦૩/૨૦૨૩ સુધી હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે તેનાથી શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા, કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખી ફરવા, મનુષ્યો અથવા શબ તેમજ પૂતળા દેખાડવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બિભત્સ સૂત્રો પોકારવા અથવા અશ્લીલ ગીતો ગાવા કે જેનાથી સુરૂચિનો ભંગ થાય તેવા ભાષણ કરવા, તેવા ચિત્રો, પત્રિકાઓ કે પ્લેકાર્ડ અથવા બીજા કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવા, બતાવવા અથવા તેનો ફેલાવો કરવા કે દેશ વિરોધી નારાઓ પોકારવા જેવા કૃત્યો કરવા ઉપર મનાઇ ફરમાવેલ છે.
આ જાહેરનામામાં અધિકૃત કરેલ કોઇપણ પોલીસ અધિકારીએ જેને શારીરિક અશકિતને કારણે લાકડી કે લાઠી લઇ જવાની પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓને મુકિત આપવામાં આવી છે.
આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.