પવિત્રધામ ડાકોરમાં લાખોની જનમેદની વચ્ચે યોજાતી રથયાત્રા આ વર્ષે જુજ સેવકો અને વૈષ્ણવો વચ્ચે સંપન્ન : લાખો ભક્તોએ ઘરે બેસી ડાકોરની નગરચર્યાના દર્શન કર્યા
નડિયાદ : ખેડા જિલ્લાના પવિત્ર ધામ ડાકોરમાં અષાઢી બીજના આગળના દિવસે પરંપરાગત નીકળતી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આજે સંપન્ન થઈ છે. દર વર્ષે ધામધૂમથી ઉજવાતી આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે. પરંતુ આ વર્ષે નીકળેલી આ રથયાત્રામાં ખુબ જ જુજ સેવકો અને વૈષ્ણવો હાજર રહ્યા હતા. શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ થતાં સરકારી તથા પોલીસ તંત્ર એ રાહતનો શ્વાસ લીધો છે.
યાત્રાધામ ડાકોરમાં ૨૪૯મી રથયાત્રા રવિવારે યોજાઈ હતી. રણછોડજી મંદિરમાં રાજા રણછોડની મંગળા આરતી બાદ નિત્યક્રમ પ્રમાણે બંધ બારણે સેવા પૂજા કર્યા બાદ શ્રીજીનું અધીવાસન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રથને નિજમંદિરમાં સેવકો દ્વારા ફેરવવામાં આવ્યો, શ્રીજી મહારાજને બિરાજમાન કરાવી ચાંદીના રથમાં મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યા ત્યાર બાદ ભંડારી બાબાની ગાદી પર શ્રીજીને લઈ જઈ પૂજા વિધિ સંપન્ન કરાઈ હતી. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અને સરકારની એસઓપી હેઠળ રથયાત્રા મંદિરથી નીકળી શાંતિપૂર્ણ વાતાવરણમાં આ રથયાત્રા પરત ફરતાં વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો.
ડાકોરના નાથની નગર ચર્ચા દર વર્ષે ૭થી વધુ કલાક ચાલતી આ રથયાત્રા ચાલુ વર્ષે માત્ર ૨ કલાકમાં જ પૂર્ણ
આ પછી લગભગ ૮ને ૫ મીનીટની આસપાસ નગરચર્યા માટે ભગવાન રથમાં બેસી નીકળ્યા હતા. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અને સરકારની એસઓપી હેઠળ રથયાત્રા મંદિરથી નીકળી હતી. જે વડબજાર, ભરતભૂવન, નરસિંહની ટેકરી થઈને ગાયોનો વાડા, રણછોડપુરા, માખણીઓ આરો, નાની ભાગોળ, પટેલ ત્રણ રસ્તા, શ્રી લક્ષ્મીજી મંદિર, કાપડ બજાર થઈને પરત નીજ મંદિર પહોંચી હતી. નિયત સમય એટલે કે ૧૧ઃ૩૦ પહેલા લગભગ ૧૦ને ૬ મીનીટે આ રથયાત્રા પરત મંદિરે આવી ચૂકી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં આ રથયાત્રા પરત ફરતાં પોલીસ અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. લાખો ભક્તોએ ઘરે બેસી ડાકોરની નગરચર્યાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. તો જીલ્લા પોલીસ વડા પણ આ તબક્કે ખાસ હાજર રહ્યા હતા.
રથયાત્રામાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે. રથયાત્રાના દરેક રૂટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. રથયાત્રા દરમ્યાન ૨૦૦, પોલિસ કર્મીઓ, ૦૫ પીએસઆઇ, ૧- પીઆઈ, ૧-ડીવાયએસપી બંદોબસ્તમાં તૈનાત રહેશે. કોરોના ગાઈડ લાઈન મુજબ રથયાત્રામાં ૬૦ આગેવાન સેવકો જોડાયા હતા રથયાત્રાના દિવસે પોલીસ દ્વારા ડાકોરમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. દરમિયાન જો કોઈ વ્યક્તિ જાહેર માર્ગ પર આવશે તો તેની સામે ૧૮૮ મુજબનો ગુનો નોંધાશે. સવારે ૮.૩૦ કલાકે શ્રીજીની શાહી સવારી ડાકોર નગરચર્યાએ નીકળ્યા.