શ્રી લક્ષ્મીનારાયણ દેવ સહિત આદિ દેવોને ૭૦૦ મણ અન્નકૂટ ધરાવાયો હતો
વડતાલ : યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકૂટોત્સવ ઉજવાયો હતો. આ દિવ્ય પ્રસંગે મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોને ૭૦૦ મણ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. બપોરે ૧૨ કલાકે અન્નકૂટની મહાઆરતી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ઉતારી હતી. અન્નકૂટના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. અને આખો દિવસ દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ રહ્યો હતો.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે, મંદિરમાં બિરાજમાન સાક્ષાત શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત આદિદેવોને નૂતન વર્ષ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા દેવોને વિવિધ મીઠાઇઓ ફરસાણ, સૂકોમેવો, ફળફળાદી, બિસ્કીટ, વિવિધ શાકભાજી, ભીની વાનગીઓ ધરાવવામાં આવી હતી.
આમ કુલ ૭૦૦ મણનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. બપોરે ૧૨ કલાકે અન્નકૂટની મહાઆરતી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, લાલજી સૌરભપ્રસાદજી મહારાજ અને લાલજી મહારાજે આરતી ઉતારવામાં આવી હતી. આરતી બાદ આચાર્ય મહારાજે સૌ હરિભક્તોને નવું વર્ષ સુખદાયી, લાભદાયી નિવડે તેવા આશીર્વાદ આપીને નૂતનવર્ષાભિનદંનની શુભેચ્છા પાઠવી હતી. અન્નકૂટ દર્શન સાંજે પાંચ વાગ્યા સુધી ખુલ્લા રહ્યા હતા. આ દિવ્ય અન્નકુટના દર્શનનો લાભ લઇને સંતો તથા ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
- અન્નકુટમાં ૯૦૦૦ કિલો મીઠાઇ, ૨૫૦૦ કિલો ફરસાણ
મંદિરના કોઠારી સંત સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી હરિની રમણભૂમિ એટલે વડતાલ ધામમા નૂતન વર્ષ નિમિત્તે ઉજવાયેલ મંદિરમાં બિરાજેલા દેવોને ૯૦૦૦ કિલો મીઠાઇ, ૨૫૦૦ ફરસાણ, ૨૫૦ કિલો બિસ્કીટ, ૧૫૦૦ કિલો શાકભાજી સહિત ભીની વાનગીઓ, ૨૫૦ કિલો કાજુ બદાન સહિત સુકોમેવો, ૫૦૦ કિલો ફફળાદી અને વિવિધ મુખવાસ સહિત ૭૦૦ મણનો અન્નકુટ ધરાવાયો હતો. મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામીની દેખરેખ હેઠળ પપ્પુ મહારાજ સહિત રાજસ્થાની ૧૪ રસોઇયા, દ્વારા અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યો હતો. ૪૦ સંતો, ૧૦૦ હરિભક્તો અને ૩૫ વાહનો દ્વારા વડતાલ તાબાના ૯૦૯ મંદિરોમાં અન્નકૂટ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે શ્યામ સ્વામીના માર્ગદર્શન હેઠળ એક હજાર હરિભક્તોએ અન્નકૂટમાં સેવાઓ આપી હતી.
- Related News : વડતાલમાં શ્રીહનુમાનજીનું વિશેષ પૂજન અન્નકુટ ધરાવાયો