Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના ‘મા અમૃતમ’ અને ‘મા વાત્સલ્ય’ યોજનાના લાભાર્થી માટે આનંદના સમાચાર

રાજ્યના આરોગ્ય કમિશનર ડૉ.જયંતિ રવિએ જણાવ્યું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ માટે અમલી કરેલી આરોગ્યલક્ષી શ્રેષ્ઠ યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ હવે ગુજરાત રાજ્યના ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજનાના લાભાર્થીઓને પણ મળશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ચાલુ વર્ષે બજેટમાં મુખ્યમંત્રી અમૃતમ ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજનાના તમામ લાભાર્થીઓને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવાની જાહેરાત કરી હતી. જેની અમલવારી તા.1લી માર્ચ 2019થી કરી દેવામાં આવી છે.

‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજનાના તમામ 70 લાખ જેટલા લાભાર્થી કુટુંબો એટલે કે 3.5 કરોડ નાગરિકોને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો સમાન રીતે પ્રાથમિક, સેકન્ડરી અને ગંભીર બીમારીઓ માટે લાભ મળશે. આરોગ્ય કમિશનર ડૉ.જયંતિ રવિએ યોજનાના લાભો જણાવતાં કહ્યું હતું કે, આ યોજના હેઠળ નોંધાયેલા પરિવારોને રૂ.5 લાખ સુધીની સારવાર નોંધાયેલી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે.

તે ઉપરાંત પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી બીમારીઓમાં આંખના રોગો, કાન, નાક અને ગળાના રોગો, સ્ત્રી રોગો, હૃદયના રોગો, માનસિક રોગો, કિડનીના રોગો, મગજના રોગો, ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓને લગતા ગંભીર રોગો, કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ તથા કિડની અને લિવરના રિપ્લેસમેન્ટ સહિતની સારવારોમાં લાભ મળવાપાત્ર થશે. કુલ 3110 સંલગ્ન સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર ઉપલબ્ધ થશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દરેક લાભાર્થીઓને આવવા-જવાના ભાડા પેટે ડિસ્ચાર્જ સમયે રૂ.300 ટ્રાન્સપોર્ટેશન ચાર્જ મળવાપાત્ર થશે. આ યોજના સાથે જોડવામાં તમામ હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી આયુષ્માન મિત્ર પણ ઉપલબ્ધ થશે. જેઓ લાભાર્થીઓને સરળતા માટે સારવાર સમયે માર્ગદર્શન પુરુ પાડશે અને મદદરૂપ થશે.

Related posts

અમદાવાદ આરટીઓમાં ‘૨૭’ નંબર અધધધ… રૂ. ૨.૬૫ લાખમાં વેચાયો…

Charotar Sandesh

આગામી 36 કલાકમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Charotar Sandesh

ગુજરાતમાં 12 કલાકમાં 92 કેસ સાથે કુલ આંકડો 1021 પર પહોંચ્યો, 38ના મોત : જયંતિ રવિ

Charotar Sandesh