Charotar Sandesh
ઈન્ડિયા

દેશની રાજધાની દિલ્હીમાં હવાની સાથે પીવાનું પાણી પણ શુદ્ધ નથી…

૨૧ રાજ્યોના પાટનગરના પીવાના પાણીનુ રેન્કિંગ જાહેર,ગાંધીનગર ૧૪મા ક્રમે…

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પાણીની ગુણવત્તા સૌથી શ્રેષ્ઠ,૨૧ શહેરો મોટા શહેરોમાં પ્રથમ ક્રમે,હૈદરાબાદ બીજા અને ભુવનેશ્વર ત્રીજા સ્થાને…

ન્યુ દિલ્હી : સમગ્ર દેશમાં રાજધાની દિલ્હીમાં હવાની સાથે હવે પીવાના પાણીની ગુણવત્તા પણ સાવ તળિયે ગઇ છે. દેશના ૨૧ મોટા શહેરોમાંથી લેવાયેલા પીવાના પાણીના નમૂનાની ચકાસણીમાં દિલ્હીનું પીવાનું પાણી સૌથી ખરાબ પ્રદૂષિત સાબિત થયું છે. જ્યારે આખા દેશમાં જ્યાં સૌથી વધારે ગીચોગીચ વસ્તી છે તે દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પાણીની ગુણવત્તા સૌથી સારી પૂરવાર થઇ છે. દેશભરના ૨૧ શહેરોના પાણીના નમૂનાઓની લેબોરેટરીમાં ચકાસણી કર્યા બાદ કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી રામ વિલાસ પાસવાને આજે શનિવારે પાણીની ગુણવત્તાના આધારે દેશના ૨૧ શહેરોની યાદી બહાર પાડી હતી.
આ યાદીમાં મુંબઇ, હૈદરાબાદ, ભુવનેશ્વર, રાંચી અને રાયપુર પાણીની સારી ગણવત્તામાં પ્રથમ પાંચ શહેરો તરીકે ઉભરી આવ્યા છે. એ જ રીતે, બાકીના શહેરોમાં અનુક્રમે અમરાવતી, સિમલા, ચંદીગઢ,, ત્રિવેન્દ્રમ, પટના, ભોપાલ, ગુવાહાટી, બેંગ્લોર, ગાંધીનગર, લખનઉ, જમ્મુ, જયપુર, દહેરાદૂન, ચેન્નાઈ, કોલકાતા, અને સૌથી છેલ્લે ૨૧મા ક્રમે રાજધાની દિલ્હીનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે ભારતીય ધોરણોના બ્યુરો (બીઆઈએસ) ને દેશના વિવિધ શહેરોમાંથી પાણીના નમૂનાઓ એકત્રિત કરવા માટે તેની તપાસ કરવા અને તે મુજબ શહેરોની રેન્કિંગ જારી કરવાની સૂચના આપી હતી. આજે પાણીની ગુણવત્તાના અહેવાલ અને રેન્કિંગ બહાર પાડ્યા બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં પાસવાને જણાવ્યું હતું કે પાણીના નમૂનાઓના ૧૦ ધોરણો પર પરીક્ષણ કરાયું હતું. જેમાં મુંબઈનું પાણી દરેક માપદંડમાંથી સફળ રીતે પસાર થયુ હતું. એટલે કે મુંબઇનું પીવાના પાણીની ગણવત્તા કે શુધ્ધતા સૌથી સારી પૂરવાર થઇ છે. જ્યારે રાજધાની, દિલ્હીમાં પીવાના પાણીના નમૂના આ માપદંડની કસોટીમાં નિષ્ફળ સાબિત થયાં દિલ્હીમાં પીવાના પાણીની શુધ્ધતા સૌથી ખરાબ પૂરવાર થઇ છે. અન્ય રીતે કહીએ તો દિલ્હીનું પાણી પીવાલાયક નથી.
દિલ્હીમાં આપ પાર્ટીની મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલની સરકાર કાર્યરત છે અને પાણી પુરવઠાની જવાબદારી કેજરીવાલ સરકારના માથે છે ત્યારે કદાચ તેને ધ્યાનમાં રાખીને રાજકિય આક્ષેપોથી બચવા એનડીએના મંત્રીએ દિલ્હીમાં પાણીની સૌથી ખરાબ સ્થિતિ અંગે એવો ખુલાસો પણ કરતાં કહ્યું કે, ’અમે કોઈ (આપ) સરકારને દોષી ઠેરવી રહ્યાં નથી. દિલ્હી સરકારે સમજી લેવું જોઈએ કે અમે આ મુદ્દે કોઇ રાજકારણ કરી રહ્યા નથી, પરંતુ અમારો આશય લોકોને શુધ્ધ પીવાનું પાણી પહોંચાડવાનો છે. જ્યાં સુધી અમારી પાસે મંત્રાલય છે ત્યાં સુધી લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા અને પ્રણાલી હોવી જોઈએ. દિલ્હી સરકાર કે અન્ય કોઇપણ રાજ્ય સરકાર પીવાના પાણીની ગુણવત્તા સુધારવા માટે અમારી પાસેથી જે મદદ માંગશે તે અમારી પાસેથી લઈ શકે છે.
તેમણે કહ્યું હતું કે પાણીની ગુણવત્તાનું પરીક્ષણ આગળ પણ ચાલુ રહેશે. પાસવાને જણાવ્યું હતું કે વધુમાં હવે પીવાના પાણીની તપાસ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં તમામ રાજધાનીઓના પાણીની શુધ્ધતાની ચકાસણી કરવામાં આવશે. બીજા તબક્કામાં સ્માર્ટ સિટી વોટરનું પરીક્ષણ કરવામાં આવશે. અને ત્રીજા તબક્કામાં દેશના તમામ જિલ્લાઓમાં પીવાના પાણીની તપાસ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેઓ દરેક ઘરને શુધ્ધ પાણી પહોંચાડવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન તરફ આગળ વધી રહ્યાં છે. તેમણે કહ્યું, ’પીએમ મોદીએ કહ્યું હતું કે ૨૦૨૪ સુધીમાં અમે દરેક ઘરને શુધ્ધ પાણી પહોંચાડીશું. અમારી સરકાર આ દિશામાં કામ કરી રહી છે.

Related posts

ગેંગસ્ટર વિકાસ દુબેના અંગત અને રાઇટ હેન્ડ અમર દુબેનું એન્કાઉન્ટર…

Charotar Sandesh

“કોરોના ભારત છોડ”, મોદીના ‘જનતા કર્ફ્યૂ’ને પ્રચંડ જનસમર્થન…

Charotar Sandesh

હું હજુ ૨૧ વર્ષનો, મેચ્યોરિટી આવતાં વાર લાગશેઃ ઋષભ પંત

Charotar Sandesh