ન્યુ દિલ્હી : ટેનિસ-સ્ટાર સાનિયા મિર્ઝાએ ક્રિકેટ-ટૂર પર પત્નીઓ કે પાર્ટનરોને પોતાની જોડે લઈ જવાની પુરુષ ખેલાડીઓને છૂટ ન આપવા બદલ ક્રિકેટ-સત્તાધીશોની ઝાટકણી કાઢી હતી અને એ સંબંધમાં કહ્યું હતું કે ‘પુરુષ માટે મહિલા મનોબળ વધારનારને બદલે તેના કામમાં વિક્ષેપરૂપ બની શકે (પુરુષની એકાગ્રતા તોડી શકે) એવો અભિગમ જ ખેલાડીઓ માટેના આવા અભિગમનું મૂળ છે.’
સાનિયા દક્ષિણ એશિયા માટેની સંયુક્ત રાષ્ટ્રો (યુનો)ની વિમેન ગુડવિલ ઍમ્બેસેડર છે. તેણે અહીં એક સમિટ ખાતે વક્તવ્યમાં એવું પણ કહ્યું હતું કે ‘છોકરીઓ જો સ્પોટ્ર્સમાં કરિયર બનાવવા માંડશે તો તેની ચામડી કાળી પડી જશે એટલે તેની સાથે કોઈ લગ્ન કરવા પણ તૈયાર નહીં થાય, એવું નાનપણમાં છોકરીઓને ડરાવવાને બદલે તેને યુવાન વયથી જ સ્પોટ્ર્સમાં ઝંપલાવવા પ્રોત્સાહન આપવું જોઈએ. સાનિયાએ મુખ્ય વિષય પર પાછા આવતા કહ્યું હતું કે ‘ઘણી વાર મેં જોયું છે કે આપણી ક્રિકેટ ટીમ સહિતની ટીમોને ક્રિકેટ-ટૂર પર પત્ની કે ગર્લફ્રેન્ડને જોડે લઈ જવાની છૂટ નથી અપાતી. એના કારણમાં એવું કહેવામાં આવે છે કે જો તેઓ જોડે હશે તો પુરુષ-ખેલાડીનું રમત પરથી ધ્યાન હટી જશે. આ શું વળી? આનો અર્થ શું થાય? મહિલાઓ એવું તે વળી શું કરી નાખે કે એનાથી પુરુષ ખેલાડીનું રમત પરથી ધ્યાન હટી જાય?’
સાનિયાએ કહ્યું હતું કે ‘વિરાટ કોહલી ઝીરો પર આઉટ થતો ત્યારે અનુષ્કા શર્માને દોષી ગણાવવામાં આવતી હતી. લોકો કંઈ પણ બોલતા હોય છે. એમાં તર્ક જેવું કંઈ હોતું જ નથી.’