લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનું વિવાદાસ્પદ નિવેદન…
ફારૂક અબ્દુલ્લાની ચિંતા ના કરે કોંગ્રેસ,કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય, કોંગ્રેસ માટે સામાન્યનો અર્થ છે કે રાજકીય પ્રવૃત્તિઓ,યોગ્ય સમય આવવા પર નેતાઓને કરીશું મુક્ત : શાહ…
ન્યુ દિલ્હી : આજે સંસદના શિયાળુ સત્રનો ૧૭મો દિવસ છે. જણાવી દઈએ કે, મંગળવારે લોકસભામાં નાગરિક્તા સંશોધન બિલ મોડી રાત્રે પાસ થઈ ગયું છે. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આજે લોકસભાની કાર્યવાહી દરમિયાન લોકસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેનો જવાબ ગૃહમંત્રી અમિત શાહે આપ્યો હતો.
દેશમાં દુષ્કર્મની ઘટનાઓ પર કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ લોકસભામાં જણાવ્યું કે, ભાજપે જે ભારતની ઓળખ મેક ઈન ઈન્ડિયાથી દર્શાવી હતી, તે હવે રેપ ઈન ઈન્ડિયા બનવા તરફ આગળ વધી રહી છે.
મંગળવારે કોંગ્રેસ સાંસદે લોકસભામાં જણાવ્યું કે, આમ તો વડાપ્રધાન મોદી દરેક મુદ્દાઓ પર બોલે છે, પરંતુ તે મહિલાઓ પર થતા અત્યાચાર પર મૌન છે. ભારત ધીરે-ધીરે મેક ઈન ઈન્ડિયાથી રેપ ઈન ઈન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ દુર્ભાગ્ય પૂર્ણ છે કે, વડાપ્રધાન મોદી ચૂપ છે. નિર્ભયા કાંડ વખતે મોદીએ દિલ્હી કેપિટલને રેપ કેપિટલ ગણાવી હતી અને હાલમાં તે અંગેના તેમના નિવેદનો અને ટિ્વટર કોંગ્રેસ તથા અન્યોએ જાહેર કર્યા હતા. તેથી તેને લઇને કોંગ્રેસે હવે તેમના જ શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
લોકસભામાં કાશ્મીર મુદ્દે શાહ અને અધીર રંજન વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ. અધીર રંજને કહ્યું કે તેઓ દર વખતે સ્થિતિ સામાન્ય કહે છે, તો જણાવશો કે સામાન્ય સ્થિતિ કોને કહેવાય? તેનો અમિત શાહે વળતો જવાબ પણ આપ્યો હતો.
અમિત શાહે કહ્યું કે કાશ્મીરમાં કાશ્મીરમાં એક પણ ગોળી ચાલી નથી. કલમ ૩૭૦ સમાપ્ત થયા બાદથી એક પણ મોત થયું નથી. પંચાયત, બીડીસી વગેરે સ્થાનિક ચૂંટણીઓ પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ. ત્યાંની સ્થિતિ બિલકુલ સામાન્ય છે. શાહે કોંગ્રેસ નેતા પર કટાક્ષ કરતાં કહ્યું કે કોંગ્રેસની સ્થિતિ અંગે હું શું કહું. હું કોંગ્રેસની સ્થિતિ સામાન્ય કરી શકું તેમ નથી.
શાહે કહ્યું કે કોંગ્રેસની સંસ્કૃતિ દિલ્હીમાં ફરમાન સંભળાવાની છે. ભાજપમાં એવી સંસ્કૃતિ નથી. શાહે કોંગ્રેસને યાદ અપાવ્યું કે કોંગ્રેસ મોદી સરકાર પર વધુ આરોપ ના લગાવે. જમ્મુ-કાશ્મીરમાં બધુ બરાબર છે. ફારૂક અબ્દુલ્લાની તબિયતની ચિંતા કરવાની જરૂર નથી. તેમની તબિયત સંપૂર્ણપણે સારી છે.
શાહે કહ્યું કે કોંગ્રેસના નેતા એ વાતને ના ભૂલે કે ફારૂક અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લાને કોંગ્રેસે ૧૧ વર્ષ જેલમાં રાખ્યા હતા. ઇન્દિરા ગાંધીએ શેખ અબ્દુલ્લાને વર્ષો સુધી જેલમાં રાખ્યા બાદ બહાર કાઢ્યા હતા.