-
એનડીઆરએફની ટીમ હજુ બે દિવસ રોકાશે
ગાંધીનગર,
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકનારુ ખતરનાક વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ ગયું છે ગુજરાત પરથી હવે આ વાવાઝોડાનો ખતરો સંપૂર્ણ પણે ટળી ગયો છે. આ સંદર્ભમાં સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને હાઇ લેવલ કમિટીની એક બેઠક મળી હતી જેમાં વાવાઝોડાની છેલ્લામાં છેલ્લી સ્થિતિ અંગેની સમીક્ષા કર્યા બાદ કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે.
મીટીંગ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાત પરથી સંકટ ટળી ગયું છે. વાવાઝોડુ દક્ષિણ બાજુ જતું રહ્યું છે. ૧૦ જિલ્લાઓમાં મોકલાયેલા સિનિયર મંત્રીઓ અને સિનિયર અધિકારીઓને બપોર પછી પરત બોલાવી લેવાશે દરિયાકાંઠાના વિસ્તારોમાં તેનાત કરેલી એનડીઆરએફની ટીમ હજુ બે દિવસ રોકાશે તથા બહારના રાજ્યોમાંથી આવેલી ટીમ આજે રવાના કરાશે.
મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે, વાવાઝોડાને કારણે લગભગ ત્રણ લાખ જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું આ તમામ લોકોને તેમના ઘરે મોકલી દેવામાં આવશે જિલ્લા કલેક્ટરને આ માટેની સૂચના આપી દેવાઈ છે. એટલું જ નહીં સ્થળાંતરિત થયેલા અને કેમ્પમાં રહેલા ત્રણ લાખ લોકોને કેશ ડોલ્સ પણ ચુકવવામાં આવશે. જેમાં પુખ્ત વયના લોકોને રોજના રૂપિયા ૬૦ લેખે જ્યારે તેનાથી નાના લોકોને રોજના રૂપિયા ૪૫ લેખે એમ ત્રણ દિવસ સુધીની રકમ ચૂકવાશે.
ત્રણ લાખ લોકોને અંદાજે સાડા પાંચ કરોડ જેવી રકમ ચૂકવાશે આજથી નિયમિત રીતે સ્કૂલ પણ ચાલુ થઇ જશે ગુજરાત મોટા સંકટમાંથી ઉગરી ગયું છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, આફત સામે લડવાની તૈયારીઓનો અનુભવ ગુજરાતને મળ્યો છે ભવિષ્યમાં તે અનુભવ કામમાં આવશે.
રાહત કમિશનર મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે સોમનાથ અને દ્વારકા જેવા ધાર્મિક સ્થળોએ બંધ કરાયેલી પ્રવાસી બસોને પુનઃ શરૂ કરવામાં આવશે. આગામી બે-ત્રણ દિવસમાં તમામ સ્થિતિ યથાવત થઈ જશે કાંઠાના વિસ્તારોમાં પણ નુકસાન થયું છે તેનો આગામી દિવસોમાં સર્વે કરાવવામાં આવશે ત્યારબાદ નાગરિકોને જે કોઈ નુકસાન થયું હશે તેની ચુકવણી કરવામાં આવશે.