તારાપુર,
તારાપુર નજીક આવેલ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો એકમાત્ર બ્રિજ આવેલો છે. ૬ માસ અગાઉ વર્ષો જૂનો આ બ્રિજ જર્જરિત થતાં તંત્ર દ્વારા કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે બ્રિજની બાજુમાં જ વૈકલ્પિક ધોરણે ડીપ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થતાં તેમજ સાબરમતીમાં પાણીની આવક વધતાં આ ડીપ બ્રિજને આખરે બંધ કરવાની ફરજ ઉભી થવા પામી છે.
ડીપ બ્રિજ પર પાણી ફરી વળવાના કારણની જો વાત કરવામાં આવે તો સાબરમતી નદીમાં ડીપ બ્રિજ પાસે કુંભવેલનું સામ્રાજ્ય છવાયેલ હોય છે. જેને લઈ સાબરમતી નદીના નીર ડીપ બ્રિજ ઉપરથી પસાર થતાં ડીપ બ્રિજનું ધોવાણ થવા પામતાં આખરે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ બંધ કરવામાં આવતાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતાં વાહન-વ્યવહાર પર મોટી અસર સર્જાઈ છે. બ્રિજ બંધ થતાં હાલ સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાત તરફ આવતાં વાહનોને અમદાવાદ તરફ ડાઈવર્ઝન આપતાં ૭૫ કિલોમીટરનો લાંબો ફેરો થઈ રહ્યો છે. જેને લઇ વાહનચાલકોને સમય સાથે નાણાંનો વ્યય થઈ રહ્યો છે.
બ્રિજ બંધ કરવામાં આવતાં આણંદ જિલ્લાના ગાલિયાના સહિતના આજુબાજુના ગામોના ૨૦૦ ઉપરાંત ખેડૂતોને પણ ગંભીર અસર સર્જવા પામી છે. કારણ કે અહીંના ૨૦૦ ઉપરાંત ખેડૂતો બ્રિજની પેલે પાર એટલે કે અમદાવાદ જિલ્લામાં જમીન ધરાવે છે. અને હાલ ડાંગરની રોપણી પૂરજોશમાં ચાલતી હોય આ ખેડૂતો રોપણીથી વિમુખ થયા છે.