મુંબઈ,
કોમેડી સિરિયલ ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનો રોલ કરતી દિશા વાકાણી કમબેક કરશે કે નહીં તેને લઈ અત્યાર સુધી ચર્ચા થતી હતી. દિશા છેલ્લાં દોઢ વર્ષથી મેટરનિટી લીવ પર છે. શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ તેને ઘણીવાર શોમાં પરત આવવા અંગે વાત કરી હતી.
જોકે, દિશા પોતાની શરતો પર જ કામ કરવા માગતી હતી, જે પ્રોડ્યૂસર્સને ક્યારેય મંજૂર નહોતું. દિશા વાકાણી સપ્ટેમ્બર, ૨૦૧૭થી શોમાં જોવા મળી નથી. તેના પતિ મયુર પડિયાએ ડિમાન્ડ કરી હતી કે દિશા દિવસમાં માત્ર ચાર કલાક જ કામ કરશે અને મહિનામાં માત્ર ૧૫ દિવસ જ સેટ પર આવશે. આ સિવાય તે નાઈટ શિફ્ટ પણ કરશે નહીં. દિશાની આ ડિમાન્ડનો અસ્વીકાર કરી દેવામાં આવ્યો હતો.
પ્રોડક્શન હાઉસે દયાબેનના રોલ માટે નવા ચહેરાની શોધ માટે ઓડિશન લેવાની શરૂઆત કરી હતી. રિપોટ્ર્સ પ્રમાણે, દયાબેનના રોલ માટે વિભૂતિ શર્માનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. વિભૂતિએ દયાબેન તરીકે શૂટિંગ પણ કર્યું છે. તે દયાબેનના લુકમાં દિશા વાકાણી જેવી જ લાગે છે. જોકે, હજી સુધી વિભૂતિએ કોન્ટ્રેક્ટ સાઈન કર્યો નથી. કારણ કે શોના પ્રોડ્યૂસર અસિત મોદી દયાબેનના રોલ માટે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા માગતા નથી. દયાબેન ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મેઈન ફીમેલ લીડ કેરેક્ટર છે.