પાલઘરમાં વરસાદી પાણીના પ્રવાહમાં ૧૬ વર્ષનો કિશોર તણાયો…
મુંબઇ,
માયાનગરી મુંબઈમાં શુક્રવારથી વરસી રહેલા અનરાધાર વરસાદને લીધે જનજીનવ ખોરવાયું છે. રવિવારે પણ વરસાદ યથાવત્ રહેતા રેલવે અને ઉડ્ડયન સેવા ખોરંભાઈ છે. પાલઘરમાં ૧૬ વર્ષનો એક કિશોર તણાઈ ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ આપ્યું છે.
નવી મુંબઈના ઠાણે અને પાલઘરમાં વરસાદને પગલે સંખ્યાબંધ વૃક્ષો ધરાશયી થયા હોવાના બનાવ નોંધાયા છે. મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો છે તેમજ આસપાસના વિસ્તાર ઠાણેમાં દસ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું ભારતીય હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર કે એસ હોંસલીકરે જણાવ્યું હતું. મુંબઈમાં ભારે વરસાદને લીધે જીવાદોરમી સમાન મુંબઈ લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત સાત જેટલી ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે.
સતત વરસી રહેલા વરસાદને લીધે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને કરજત, કસરાંદ, ખોપોલી સહિતની મેઈન લાઈન અને હાર્બર લાઈન સવારના આઠ વાગ્યા સુધી રદ કરવામાં આવી હોવાનું મુખ્ય પ્રવક્તા સુનિલ ઉદાસીએ જણાવ્યું હતું.
મધ્ય રેલવેના કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ કરજત અને લોનાવાલા હિલ વચ્ચે પાણી ભરાતા ભેખડો ધસવાથી મુંબઈ તરફની ટ્રેનો રદ અથવા ડાઈવર્ટ કરવામાં આવી છે. દરમિયાન મુંબઈ-પૂણે રેલ વ્યવહાર પણ ઠપ થયો છે. લાંબા અંતરની ટ્રેનો દુરંતો, કોર્ણાક એક્સપ્રેસ, અમૃતસર એક્સપ્રેસ અને દેવગીરી એક્સપ્રેસ નાસિકના ઈગતપુરી તેમજ કલ્યાણ નજીકના અંતગાઁવ અને ખારડી પાસે ફસાઈ છે. મુંબઈ એરપોર્ટના પ્રવક્તના જણાવ્યા મુજબ બે ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી છે તેમજ છ ફ્લાઈટને પરત ફરવા જણાવાયું છે.
વસઈ-ચર્ચગેટ અને વિરાર-દાદર વચ્ચે રેલ વ્યવહાર ચાલુ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. પાલઘરના વિક્રમગઢમાં ૧૬ વર્ષનો કિશોર વરસાદી પાણીના વહેણમાં તણાઈ જતા તેને શોધવા માટે અભિયાન હાથ ધરાયું છે.
પુણેમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં પુણે મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા ૫૦૦ જેટલાં પરિવારોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યાં છે. થાણે અને પાલઘરમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે. ભૂસ્ખલન થવાથી પુણેથી મહાબળેશ્વર જનાર માર્ગ બંધ થઈ ગયો છે. જેનાથી ૫૬ ગામનો સંપર્ક તૂટી ગયો છે.