પાંડુ : કેન્દ્રના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે પૃથ્વી પરની કોઇ શક્તિ અયોધ્યામાં રામમંદિર બાંધવાથી અટકાવી નહીં શકે.
બિશરામપુર વિધાનસભા મતદારક્ષેત્રમાં ચૂંટણી સભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવેલા રફાલ ફાઇટર જેટ સરહદ પારના આતંકવાદી કેમ્પનો ખાતમો બોલાવશે.
‘જય શ્રીરામ’ના જયઘોષ વચ્ચે તેમણે જણાવ્યું હતું કે અયોધ્યામાં રામમંદિર બંધાશે જ અને દુનિયાની કોઇ તાકાત તેને અટકાવી નહીં શકે.
કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી અંગે ભાજપના આ પીઢ નેતાએ જણાવ્યું હતું કે ૧૯૫૨માં ભારતીય જન સંઘ (હાલના ભાજપ)ના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ જણાવ્યું હતું કે કોઇ પણ દેશમાં બે બંધારણ, બે વડા પ્રધાન અને બે રાષ્ટ્રધ્વજ ના હોઇ શકે. અમે એમનું એ સપનું પૂરું કર્યું છે અને અમારા ચૂંટણી વચનોનું પાલન કર્યું છે.
ઝારખંડમાં પાંચ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ૩૦મી નવેમ્બરે બિશરામપુરમાં પહેલા તબક્કાની ચૂંટણીનું મતદાન થશે. આ બેઠક પરથી ભાજપે રાજ્યના આરોગ્ય ખાતાના પ્રધાન રામચંદ્ર ચંદ્રવંશીને ઊભા રાખ્યા છે.