બધી જ ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાન મોંઘા કરશે…
ન્યુ દિલ્હી : આર્થિક મંદીના સમયમાં હવે આમ આદમી પર વધુ એક બોજ આવી રહ્યો છે. આર્થિક સંકળામળનો સામનો કરી રહેલ ટેલીકોમ કંપનીઓ દેવાનો ભાર હવે સીધા મોબાઈલ ફોન ગ્રાહકો પર પડવાનો છે. મોબાઈલ ફોન ઉપભોક્તાઓને ૧ ડિસેમ્બરથી કોલ કરવાની સાથે સાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું મોંઘું પડશે, એટલે કે ટેરિફ પ્લાન મોંઘા થવા જઈ રહ્યા છે.
ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયા ૧ ડિસેમ્બર, ૨૦૧૯થી તેમના ટેરિફ પ્લાનમાં વધારો કરશે. બંને કંપનીઓ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂની બાકી રકમ ભરવા માટે આમ કરવા અંગે વિચારણા કરી રહી છે. જોકે બંને કંપનીઓએ હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે મોબાઇલ ટેરિફ કેટલો મોંઘો થશે. પરંતુ એક અહેવાલ મુજબ ટેલિકોમ કંપનીઓ મોબાઇલ ટેરિફમાં ૩૫ ટકાનો વધારો કરી શકે છે.
મીડિયા રિપોટ્ર્સમાં કહેવામાં આવી રહ્યું છે કે એરટેલનું ૧૦૦ રૂપિયાનું રિચાર્જ ૧૩૫ રૂપિયા સુધી મોંઘું થઈ શકે છે. બીજા પણ ઘણા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ સંપૂર્ણ તસવીર એક કે બે દિવસમાં સ્પષ્ટ થઈ જશે. વોડાફોન-આઈડિયાનું પણ કહેવું છે કે ટેરિફમાં વધારો કરશે કે જે ૧ ડિસેમ્બરથી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, જો કંપનીઓ ટેરિફ વાઉચરમાં ૧૦ ટકાનો વધારો કરશે તો તેને આગામી ૩ વર્ષમાં ૩૫ હજાર કરોડ રૂપિયાની આવક થવાની સંભાવના છે.