જુનાગઢ,
જૂનાગઢ મહાનગર સેવાસદનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો. ૫૯ બેઠકોની મનપામાં ભાજપે ૫૪ બેઠકો જીતતા પરિણામ જાહેર થયાના ૨૪ કલાકમાં જ સીએમ રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાઘાણી જૂનાગઢ આવ્યા હતા. શહેરની બાહુદ્દીન કોલેજના પટાંગણમાં યોજાયેલી વિજયોત્સવ સભાને સંબોધતા મુખ્ય મંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આટલી મોટી જીત બાદ અમારી જવાબદારી પણ વધે છે. જૂનાગઢની જનતાએ અમારા પર વિશ્વાસ મૂકીને જે આપ્યું છે તેના કરતા સવાયું વિકાસ કરી અને પરત આપીશું.
વિજય રૂપાણીએ જણાવ્યું, “લોકસભાની ચૂંટણીમાં ૨૬ બેઠકો જીતી અને જૂનાગઢની જનતા છપ્પરફાડીને મત આપીને ભાજપની ઝોળી છલકાવી દીધો છે. જૂનાગઢની જનતાએ કોઈ પણ જાતના ભ્રામક પ્રચારમાં આવ્યા વગર ભાજપને મત આપ્યો છે. હું જનતાને ભરોસો આપવા આવ્યો છું, તમે જે ભરોસો મૂક્યો છે તે એળે નહીં જાય, તમે જે ઋણ અદા કર્યુ છે તેનાથી સવાયું પાછું આપીશું. મુખ્ય મંત્રી તરીકે વિશ્વાસ અપાવું છું. જૂનાગઢને જે જોઈએ તે આપીશું. પૈસા આપીને અને વિકાસ કરીશું.”
સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના લોકો હાર સ્વીકારવાના બદલે લોકોને ગાળો દેવા નીકળા છે. જે પાર્ટી પ્રજાને ગાળો આપે તેનો વિકાસ થતો નથી. કોંગ્રેસ ડૂબતી નાવ છે હવે પ્રજાને વિપક્ષ તરીકે પણ કોંગ્રેસમાં વિશ્વાસ રહ્યો નથી. એક વાર ભૂતકાળમાં આપણે હારી ગયા હતા ત્યારે પ્રજાને ગાળો આપવા નહોતા નીકળ્યા ઉલટાનું વધારે મહેનત કરી અને વધારે સારૂ કામ કરીશું