હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ હવે હટી ગઈ છે…
રાજકોટ : ગુજરાતમાં ખેડૂતો અને ખેલૈયાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ હવે હટી ગઈ છે. અને તે હવે રાજસ્થાન તરફ ફંટાઈ ગઈ છે. હવામાન વિભાગની આ આગાહીને પગલે ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. કેમ કે, સતત વરસાદને કારણે પાકને મોટાપાયે નુકસાન થયું છે. અને લીલા દુકાળની પણ ભીતિ સેવાઈ રહી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય પરથી ડિપ્રેશનની સિસ્ટમ નબળી પડી છે. અને ગુજરાત રાજ્ય પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ હવે રાજ્ય પરથી હટી ગઈ છે. ડિપ્રેશન વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈને રાજસ્થાન તરફ ફંટાઈ ગયું છે. હજી ૨૪ કલાક રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. જો કે, વરસાદની તીવ્રતા ઘટશે. હવામાન વિભાગ દ્વારા જાહેર થયેલી આ આગાહીને પગલે ખેડૂતો અને ખેલૈયાઓએ રાહતનો શ્વાસ લીધો છે.
અગાઉ હવામાન વિભાગે કરેલી આગાહી સાચી પડી છે. હવામાન વિભાગે કહ્યું હતું કે, ૧ ઓક્ટોબર સુધી વરસાદી સિસ્ટમ રાજ્ય પરથી હટી જશે. અને ૩ ઓક્ટોબરે વરસાદ ગુજરાતમાંથી વિદાય લેશે. ત્યારે નવરાત્રીના બે દિવસ બગડ્યા બાદ હવે બાકીના દિવસોમાં ગરબા રમવા મળશે તેવી આશા સાથે ખેલૈયાઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.