મોદી પર પ્રહાર, ક્યાં ગઇ ઇન્સાનિયત, કશ્મીરિયત અને જમ્હરિયત…?
શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલ હલચલની વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કાશ્મીરમાં ગભરાટનો માહોલ છે. મહેબૂબા મુફ્તીએ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે અહીં આફત તૂટી પડી છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં શું થવાનું કોઇ કહેતું નથી. આ દરમ્યાન મુફતીએ એ પણ આરોપ મૂકયો કે રવિવાર સાંજે એક હોટલમાં તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી હતી, પરંતુ પોલીસે બુકિંગ રદ્દ કરી દીધું છે.
આ બધાની વચ્ચે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે પર્યટકો, શ્રદ્ધાળુઓ અને વિદ્યાર્થીઓને કાશ્મીરમાંથી જવાનું કહ્યું છે, કાશ્મીરીઓને રાહત આપવાની કોઇ કોશિષ દેખાતી નથી. મહેબૂબા મુફ્તીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાંધતા કહ્યું કે કયાં ગઇ ઇન્સાનિયત, કશ્મીરિયત અને જમ્હરિયત?
આ બધાની વચ્ચે મહેબૂબા મુફ્તીએ ફરી એકવખત ૩૫એ કે ૩૭૦ સાથે છેડછાડ પર ચેતવણી આપી દીધી છે. મહબૂબા એ કહ્યું કે અમે આ દેશના લોકોને સમજાવાનો પ્રયાસ કર્યો હતો કે ૩૫એ કે ૩૭૦ સાથે છેડછાડ કરશે તે તેનું શું પરિણામ હોઇ શકે છે. અમે અપીલ પણ કરી છે પરંતુ કેન્દ્રની તરફથી કોઇ આશ્વાસન મળ્યું નથી. તેઓ એ પણ કહી રહ્યા નથી કે બધું બરાબર થઇ જશે.
રાજ્યપાલને મળ્યા ઉમર અબ્દુલ્લા
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં કેટલાંક દિવસથી ચાલી રહેલી હલચલની વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લાએ પણ ચિંતા વ્યક્ત કરી છે. ઉમર અબ્દુલ્લાએ શનિવારના રોજ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત પણ કરી. જો કે રાજ્યપાલે સ્પષ્ટતા કરી કે સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ પગલું ઉઠાવામાં આવી રહ્યું છે.