ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર થતાં બંધ કરવાનો નિર્ણય લીધો : ના.મુખ્યમંત્રી
અરવલ્લી : તીડના આતંકને કારણે હાલ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યના અને જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા તીડનો નાશ કરવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે અને રાજ્ય સરકાર ખેડૂતોની નુકસાનીનો સર્વે કરી યોગ્ય સહાય ચૂકવશે.
સાબરકાંઠા અને બનાસકાંઠામાં હાલ તીડના ઉપદ્રવના કારણે ખેડૂતોના ઉભા પાક નાશ પામ્યા છે. જેના કારણે ધરતીના તાતને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બંને જિલ્લાઓમાં તીડના ત્રાસના કારણે ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ સહાયની અરજ કરી હતી. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મોડાસામાં પત્રકારો સાથે વાતચીત કરતા સરકાર ખેડૂતોને સહાય આપશે તેવું જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાજ્યની ૧૬ આરટીઓ ચેકપોસ્ટ અને રાજ્યની તમામ આંતરરાજ્ય અને જીલ્લાની આંતરિક પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણય અંગે વાત કરી હતી. આરટીઓ ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભારે ગેરરીતિ આચરવામાં આવતી હોવાથી સરકારી તિજોરીને નુકશાન પહોંચતું હતું અને અન્ય લોકોના ખિસ્સામાં રૂપિયા જતા રહેતા હતા જેથી પ્રાયોગિક ધોરણે હાલ પોલીસ ચેકપોસ્ટ દૂર કરવામાં આવી હોવાનું સ્વીકાર્યું હતું.