Charotar Sandesh
ઈન્ડિયા

મહારાષ્ટ્રમાં ફરી ભગવા સરકાર, હરીયાણામાં રાજકીય સસ્પેન્સ…

ભાજપ-શિવસેના યુતિને બહુમતી-૧૬૨, કોંગ્રેસ ગઠબંધન ૧૦૨ તથા અન્યોને ૨૪ બેઠકો, હરીયાણામાં ત્રિશંકુ સ્થિતિ ભાજપ ૪૩, કોંગ્રેસ ૩૦, જેજેપી ૧૭ અને અન્યોને ૭ બેઠક…

પુણે : મહારાષ્ટ્ર વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં ફરી એક વખત ભાજપ અને શિવસેનાનો ઝળહળતો વિજય થયો છે. ભગવા યુતિ ફરી સત્તારૂઢ બનશે. ટ્રેન્ડમાં આ યુતિને બહુમતી મળી ચૂકી છે. જ્યારે હરીયાણામાં પળે-પળે સ્થિતિ બદલાતા રાજકીય સસ્પેન્સ સર્જાયુ છે. હરીયાણામાં એક પણ પક્ષને બહુમતી મળી નથી. આ સંજોગોમાં રાજ્યમાં ગઠબંધન સરકાર રચાશે એવા નિર્દેશો મળી રહ્યા છે.
મહારાષ્ટ્રની ૨૮૮ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી તેના છેલ્લા સમાચાર મુજબ ભાજપ અને શિવસેના ૧૫૮, કોંગ્રેસ અને એનસીપી ૧૦૦ તથા અન્યો ૩૦ બેઠકો મેળવે છે. જ્યારે હરીયાણામાં ૯૦ બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં છેલ્લા સમાચાર મુજબ ભાજપ ૪૦, કોંગ્રેસ ૩૨, જેજેપી ૧૦ અને અન્ય ૭ બેઠક મેળવે છે. રાજ્યમાં જેજેપી કિંગમેકરની ભૂમિકામા આવી ગઈ છે. અહીં આ પક્ષના ટેકા વગર કોઈપણ પક્ષ સરકાર રચી શકે તેવી સ્થિતિમાં નથી. દિલ્હીમાં બેઠકોના દોર શરૂ થયા છે. સોનિયા ગાંધી અને અમિત શાહ સક્રીય બન્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામમાં શરૂઆતી વલણ મુજબ ૨૮૮ બેઠકો પૈકી મોટાભાગની બેઠકો પર ભાજપ-શિવસેના અને સહયોગી પક્ષો જીતી રહ્યા હોવાથી ભાજપ-શિવસેનાના સરકારનું પુનરાવર્તન નક્કી છે.
શરદ પવારના નેતૃત્વવાળી પાર્ટી એનસીપીનું પ્રદર્શન સારૂ રહેતા કોંગ્રેસ કરતા વધુ બેઠકો મેળવી છે.
શિવસેનાના ડેબ્યુ ઉમેદવાર આદિત્ય ઠાકરે વર્લી બેઠક પરથી એનસીપીના ડો. સુરેશ માને સામે ૧૯ હજારથી વધુ મતથી જીત્યા. એકઝીટ પોલ્સમાં મહારાષ્ટ્રમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાનો અંદાજ મુકાયો હતો જેમા ભાજપ – શિવસેનાના ગઠબંધનને ૧૮૮-૨૪૩ બેઠકો મળવાની અપેક્ષા વ્યકત કરવામાં આવી હતી. જ્યારે હરીયાણામાં તમામ એકઝીટ પોલ્સે ભાજપનો વિજય ભાખ્યો હતો. પરંતુ હાલમાં ત્રિશંકુ વિધાનસભાનો અંદાજ મળી રહ્યો છે. ૨૧ ઓકટોબરે મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકો ઉપર ૬૧.૧૩ ટકા મતદાન થયુ હતુ જ્યારે હરીયાણાની ૯૦ બેઠકો પર ૬૫ ટકા મતદાન થયુ હતું.
હરિયાણામાં ચૂંટણી પહેલા ભાજપે ‘અબકી બાર, ૭૫ પાર’નો નારો આપ્યો હતો, પરંતુ પરિણામોમાં તે બહુમતના આંકડા ૪૬ને પણ પાર કરતી પણ નથી દેખાતી. ચૂંટણી પંચ પ્રમાણે અત્યાર સુધીના રૂઝાનોમાં ૯૦ બેઠકો ધરાવતા હરિયાણામાં ભાજપ ૪૦ બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે અત્યંત નબળી જણાઈ રહેલી કોંગ્રેસે એક રીતે પાસુ પલટી નાખ્યું છે અને ૩૦ની પાર પહોંચી ગઈ છે.
ભાજપે ભલે કોંગ્રેસની સરખામણીમાં બઢત મેળવી લીધી હોય, પરંતુ બનેં પાર્ટીઓ બહુમતથી દૂર છે. આ સ્થિતિમાં આઈએનએલડીમાંથી અલગ થઈને તાજેતરમાં જ બનેલી દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી કિંગમેકર તરીકે સામે આવી છે. જોકે મહત્વનો સવાલ એ છે કે, જરૂર પડ્યે દુષ્યંત ચૌટાલા કોના મટે ટ્રેક્ટર ચલાવશે? ચૌટાલાના ૧૦ ઉમેદવારો રૂઝાનમાં આગળ ચાલી રહ્યાં છે. તેવામાં સરકાર રચવા માટે તેમના ધારાસભ્યો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Related posts

દેશમાં વેન્ટિલેટરની માંગ ઘટ્યા બાદ હવે સરકારે એક્સપોર્ટ માટે મંજૂરી આપી…

Charotar Sandesh

ન્યુઝ ફ્લેશ : વાંચો આજે સવારના સમાચાર એક ક્લીક ઉપર

Charotar Sandesh

હાલની સરકાર સાવ બેશરમ, ઇન્દિરા ગાંધીમાં તો થોડીક શરમ હતી : અરુણ શૌરી

Charotar Sandesh