ફ્લાવર શોમાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી, મચ્છર, ફાયરબ્રિગેડ જેવી થીમ…
અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઈવેન્ટ સેન્ટર પર ૮મા ફ્લાવર શોનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે આ ફ્લાવર શો ૨૦૨૦નું ઉદ્ધાટન થયા બાદ શહેરના આકર્ષણ સમા શોને જોવા માટે લોકોનાં ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. આ વર્ષે આયોજીત થનારા ફલાવર શોની વિશેષતાઓની વાત કરીએ તો, આ વર્ષે ગાંધીજીના જીવન ચરિત્ર પર આ વખતનો ફ્લાવર શો આયોજીત કરવામાં આવ્યો છે.
આ ફ્લાવર શોમાં દેશ-વિદેશના ૧૦ લાખ જેટલા રંગબેરંગી ફુલોની વેરાઈટી રાખવામાં આવી છે. આ પ્રસંગે અમદાવાદના મેયર બિજલબહેન પટેલ સહિત કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. સીએમ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, ફ્લાવર શોમાં અલગ-અલગ થીમ તૈયાર કરવામાં આવી છે. જેમા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી, સ્વચ્છતા, પર્યાવરણનો કોન્સેપ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીજી તરફ પ્રવેશ ફી રૂા. ૧૦ હતી તે વધારીને રૂા. ૨૦ કરવામાં આવી છે. તેમજ શનિ- રવિની રજામાં ટિકિટના દર રૂા. ૫૦ કરી કઢાયા છે. ફ્લાવર શૉમાં ૪૦ ફૂડકોટ, ૩૦ દવા, બિયારણ, ખાતર, બગીચાના સાધનોની દુકાનો અને ૮ નર્સરીઓના સ્ટોલ્સ હશે. પ્રવેશ દ્વારા બન્ને તરફ મોરના બે સ્કલ્પચર ‘વેલકમ’ કરશે. ૧૫૦ ફૂટ જેટલી લાંબી ગ્રીનવૉલ પણ ઉભી કરાઈ છે.
ફ્લાવર શોમાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી, મચ્છર, ફાયરબ્રિગેડ વગેરે જેવી થીમ રાખવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઈચ્છે છે કે, ફ્લાવર શો જોઈને હેરીજનો સ્વચ્છતા, પર્યાવરણ, ગ્રીન એન્ડ ક્લિનનો કોન્સેપ્ટ અપનાવે છે અને શહેર કલરફુલ બનાવે.
ફ્લાવર શોમાં વિશાળ પ્લાન્ટ ઉપરાંત ૭૫ હજારની કિંમતનો ફાયકસ પોપ્યુલરી પ્રકારનો છોડ પણ છે. મેયર બિજલબેન પટેલના સૂચન પ્રમાણે આ વખતે ફ્લાવર શોનો સમય ૧૦ દિવસથી વધારીને ૧૬ દિવસ કરાયો છે. સોમથી શુક્ર ટિકિટના દર રૂ.૨૦ અને શનિ-રવિમાં રૂ.૫૦ રહેશે તેમ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું.