આવ… રે… વરસાદ, ગ્લોબલ વોર્મિંગની સાઈડ ઈફેક્ટ…
ઉમરેઠ તાલુકામાં વરસાદે રિસામણાં લેતા, ધરતીપુત્રોમા ચિંતા પ્રસરી ગઈ છે, ચોમાસુ પાક માટે ખેડૂતોએ પોતપોતાના ખેતરમાં વાવેતર કરી દીધું છે પરંતુ વરસાદ ખેંચાતા ખેતીના પાકો નિષ્ફ્ળ જવાના ડરથી ધરતીપુત્રો ચિંતામાં સરી પડ્યા છે, એક તરફ ખેતી પાકોમાં વાવણી માટે કરેલા મોંઘા ભાવના બિયારણો અને મજુર મહેનત એળે જવાની ભીંતી સેવતા ખેડૂતોએ દેવાધિદેવ મહાદેવના શરણે જઈ દૂધ અને જળથી અભિષેક કરી મહાદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.
ઉમરેઠની જાગનાથ ભાગોળે આવેલ જાગનાથ મહાદેવના મંદિરે સાંજના સમયે ખેડૂતો, પશુ પાલકો મહિલાઓ, યુવાનો હાથમાં દૂધ તેમજ જળના બેડા લઇ ઉમટી પડ્યા હતા અને મહાદેવને અભિષેક કરી શિવલિંગને પાણીમાં ડૂબાડ્યું હતું, માન્યતા મુજબ શિવજીને પાણીથી તરબોળ કરતા મેઘરાજાને અવશ્ય ધરતી ઉપર આવવું પડે છે, આ શ્રદ્ધા સાથે હરહર મહાદેવના ભક્તિનાદ થી જાગનાથ મંદિરને ગુંજવી મૂક્યું હતું.