ચોરી અને ચીલઝડપની અનેક ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે. આવામાં ઘણા લોકો પ્રમાણિકતાના દ્રષ્ટાંત પણ આપતાં હોય છે. આવી જ એક ઘટના બનાસકાંઠામાં સામે આવી છે. એક રાહદારીએ તેને મળેલા સોનાના દાગીના તેના માલિકને પરત કર્યા છે.
બનાસકાંઠાના લાખણીના અઠવાડિયા ગામમાં દાગીના ખોવાયા હોવાની ઘટના સામે આવી હતી. મહિલા બાઈક પર લગ્નમાં જઈ રહી હતી ત્યારે રસ્તામાં સોનાના દાગીના સરકી ગયા હતા. મહિલાએ ૧૫ તોલા સોનાના દાગીનાની શોધખોળ શરૂ કરી હતી.
મહિલાના પરિવારે ખોવાયેલા દાગીના અંગે સોશિયલ મીડિયામાં મેસેજ પણ પોસ્ટ કર્યા હતા. જાકે, આ દરમિયાન રાણાજી રાજપૂત નામનો શખ્સ અઠવાડિયા ગામમાંથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે તેને રસ્તામાંથી આ દાગીના મળી આવ્યા હતા. આ શખ્સે પ્રમાણિકતા દાખવી દાગીનાના માલિકને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને આ ખોવાયેલા દાગીના મૂળ માલિકને પરત કર્યા હતા.