Charotar Sandesh
ઈન્ડિયા

રાહુલ-પ્રિયંકાએ સીએએ મુદ્દે લોકોને ગુમરાહ કરી તોફાન કરાવ્યા : શાહનો આરોપ

કેજરીવાલ ૫ વર્ષનો હિસાબ આપે,ચશ્મા ચઢાવીને પણ કામ દેખાઇ રહ્યું નથી…

મોદીજી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપી રહ્યા છે તો દલિત વિરોધી કેજરીવાલ, રાહુલ ગાંધીએ વિરોધ કર્યો…

ન્યુ દિલ્હી : વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે તાલકટોરા સ્ટેડિયમમાં પાર્ટીના બૂથ લેવલ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર જનતાને ગુમરાહ કરીને તોફાન કરાવવાનો આરોપ લગાવ્યો. શાહે એ પણ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ૫ વર્ષ દિલ્હીના લોકોને છેતર્યા છે અને ભાજપ તેમની પાસેથી હિસાબ માંગશે. નનકાના સાહિબ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.
અમિત શાહે કહ્યું- હજુ હમણા જ પ્રધાનમંત્રી સીએએ લઇને આવ્યા. કેબિનેટે તેને મંજૂરી આપી અને લોકસભાએ પસાર કરી દીધું. ત્યારબાદ કેજરીવાલ, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાએ લોકોને ગુમરાહ કરીને તોફાન કરાવવાનું કામ કર્યું. હું દિલ્હીની જનતાને પૂછવા માગુ છું- શું તમે એવી સરકાર ઇચ્છો છો જે દિલ્હીમાં હુલ્લડ કરાવે.
નાગરિકતા કાયદાના વિરોધ પર શાહે કહ્યું- વિપક્ષના લોકો કહે છે કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર અત્યાચાર નથી થતા. કેજરીવાલ, રાહુલ-સોનિયા ગાંધીજી આંખો ખોલીને જોઇ લો, હમણા જ નનકાના સાહિબ જેવા પવિત્ર સ્થળ પર હુમલો કરીને શીખ ભાઇઓને આતંકિત કરવાનું કામ પાકિસ્તાને કર્યું છે. શાહે કહ્યું કે કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ પણ આ કાયદાનો વિરોધ કર્યો. મોદીજી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા દેવા જઇ રહ્યા છે તો દલિત વિરોધી કેજરીવાલ, રાહુલ ગાંધી તેનો વિરોધ કરી રહ્યા છે.
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે રામ જન્મભૂમી મામલાને ઘણા વર્ષોથી રોકીને રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે ચૂકાદો આપી દીધો છે કે રામ જન્મભૂમિ પર મંદિર બનવું જોઇએ. આ દેશના કરોડો લોકોની ઇચ્છા હતી પરંતુ કોંગ્રેસ પાર્ટી તેનો વિરોધ કરતી હતી.
અમિત શાહે કહ્યું- ભાજપને ચૂંટણી સભાઓથી નથી લડવું પરંતુ ઘરે ઘરે જઇને લડવું છે. મોહલ્લા મીટિંગ કરીને લડવું છે. તેની શરૂઆત હું જ કરવા જઇ રહ્યો છું. દિલ્હીના મુખ્યમંત્રી પર કટાક્ષ કરતા શાહે કહ્યું- કેજરીવાલ જી છાપામાં તેમના ફોટાવાળી જાહેરખબર આપીને ધન્યવાદ આપી રહ્યા છે. અરે તમે કયુ કામ પુરુ કરી દીધું એ તો જણાવો. ૫ વર્ષ સરકાર ચલાવ્યા બાદ તો તમે કામ શરૂ કરો છો.
શાહે કહ્યું- જનતાને એક વખત છેતરી શકાય છે, વારંવાર કોઇ ન છેતરી શકે. એક વખત કેજરીવાલે છેતરી લીધા. ત્યારબાદ નગર નિગમની ચૂંટણી થઇ તો આપ પાર્ટીના સૂપડા સાફ થઇ ગયા. દિલ્હીની જનતા હવે તેમને ઓળખી ગઇ છે. તેમણે દાવો કર્યો કે આ વખતે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે.
ભાજપ અધ્યક્ષે કહ્યું- કેજરીવાલજીએ દિલ્હી માટે શું કર્યું તે જરા જણાવો. તમે કહ્યું હતું કે ૨૦ કોલેજ બનાવીશું, આ કોલેજ ક્યાં ગઇ તે ખબર નથી. ૫ હજારથી વધારે સ્કૂલ બનાવવાનો વાયદો કર્યો હતો , હું ચશ્મા ચડાવીને જોઇ રહ્યો છઉં કે ક્યાં સ્કૂલ બની, પણ ક્યાંય દેખાતી નથી. દિલ્હીમાં ૧૫ લાખ સીસીટીવી કેમેરા લાગવાના હતા, પરંતુ લાગ્યા નહીં. કોન્ટ્રાક્ટ પર ના શિક્ષકો-કર્મચારીઓને પાકા કરવાના હતા પરંતુ તે કર્યું નહીં. અને અમે જે દેવા માગતા હતા તેમાં પણ કેજરીવાલ અડચણ બન્યા છે.
અમિત શાહે કહ્યું- બાકી પાર્ટીઓ માટે ચૂંટણી સત્તા પ્રાપ્ત કરવાનું સાધન હોઇ શકે છે. પરંતુ ભાજપ લોકતંત્રમાં વિશ્વાસ કરે છે. અમે માનીએ છીએ કે ચૂંટણી લોકતંત્રનો ઉત્સવ છે.

Related posts

ભારતીય અર્થવ્યવસ્થા હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે : નિર્મલા સીતારમણ

Charotar Sandesh

તૌકતે બાદ ’યાસ’ વાવાઝોડાનો સામનો કરવા નૌસેના, વાયુસેના તૈનાત…

Charotar Sandesh

હૃતિક રોશન ‘બેંગબેંગની સિકવલમાં કામ કરશે

Charotar Sandesh