ગુજરાતની શાળાઓમાં શિક્ષણનુ સ્તર સુધારવાઃ કેન્દ્રીય મુલ્યાંકન પધ્ધતિના અમલ થયે પાઠ્યપુસ્તકોની એકરૂપતા જળવાશેઃ એક સરખા QR કોડવાળા પાઠ્યપુસ્તકો બહાર પડશે…
ગુજરાત સરકાર રાજ્યોમાં શિક્ષણનુ સ્તર સુધારવા માટે સરકારી અને ખાનગી સ્કુલોમાં પરીક્ષાની નવીન પધ્ધતિ અમલી બનાવવા માંગે છે. સરકારી અને ખાનગી સ્કૂલોમાં એસેસમેન્ટની એક જ પદ્ધતિ લાવવાની વિચારણા ગુજરાત સરકાર કરી રહી છે.
રાજ્ય સરકારનું માનવું છે કે, આ પગલું શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં મદદ કરશે. જો કે, ખાનગી સ્કૂલોના સંચાલકો આ પગલાંનો વિરોધ નોંધાવી શકે છે. સરકાર નવી પદ્ધતિ ૫૦,૦૦૦ ખાનગી અને સરકારી શાળામાં લાગુ કરશે અને ૧.૨ કરોડ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરશે. નવી પદ્ધતિ વિશે નજીકથી જાણનારા એક સરકારી અધિકારીએ કહ્યું, સારા પરિણામ માટે ગયા વર્ષે શિક્ષણ વિભાગે સત્ર અને વર્ષના અંતે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકની કેંદ્રીય પદ્ધતિ વિકસાવી હતી. જેમાં ધોરણ ૩-૮ના ૪૩ લાખ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થયું હતું. યુનિફોર્મ સેન્ટ્રલાઈઝડ ર્લનિંગ આઉટકમ્સ એસેસમેન્ટ્સ (UCLOA)ની પદ્ધતિ સરકારી સ્કૂલોની સાથે ગ્રાન્ટ-ઈન-એઈડ અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોમાં પણ શરૂ કરાશે. જેથી ધોરણ ૩-૮ના ૧.૨ કરોડ વિદ્યાર્થીઓને આમાં આવરી લેવાય અને રાજ્યનું શાળાકીય શિક્ષણનું સ્તર ઊંચું આવે.