આજના યુગમાં મોબાઈલ તમારી પાસે હોય તો તમે કોઈપણ કામ ગણતરીના સમયમાં કરી શકો છો. લોકોને ઘણી ફેસિલિટી આપનાર મોબાઈલ ક્યારેક કોઈકના મોતનું કારણ પણ બની જાય છે, આવું જ કંઈક અમદાવાદ શહેરમાં સામે આવ્યું છે. મોબાઈલના કારણે એક પતિએ તેની પત્નીની હત્યા કરી નાંખી.
મળતી માહિતી અનુસાર, મૃતક શિવાની લગ્ન થયા પછી પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થવાના કારણે પતિથી અલગ તેના પાંચ વર્ષના બાળક સાથે અમદાવાદમાં રહેતી હતી અને પતિ વીરપાલસિંહ આગ્રામાં રહેતો હતો. ત્રણ દિવસ પહેલા વીરપાલસિંહ આગ્રાથી અમદાવાદ પત્ની અને બાળકને મળવા આવ્યો હતો. ત્યારે પતિ-પત્ની વચ્ચે મોબાઈલને લઇને સામાન્ય બોલાચાલી થઈ હતી. બોલાચાલી સમયે ઉશ્કેરાયેલા વીરપાલસિંહે શિવાનીને મોબાઈલ કેમ રાખે છે, તેમ કહીને માથાના ભાગે લાકડી મારી હતી. માથામાં ગંભીર ઈજા થવાના કારણે શિવાનીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે સમય આ ઘટના બની હતી ત્યારે શિવાનીના ઘરની બહાર પાડોશીઓ અને ઘરમાં પાંચ વર્ષનો પુત્ર હાજર હતા. હત્યા કર્યા બાદ વીરપાલસિંહે પત્નીની લાશને પાણીની ટાંકીમાં નાંખી દીધી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ બાબતે પાડોશીઓએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસબાદ પોલીસે શિવાનીની લાશને પોસ્ટમોર્ટન અર્થે ખસેડી હતી અને સાક્ષીઓના નિવેદન લઈને વીરપાલસિંહ સામે હત્યાનો ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.