ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડનું ગોડાઉન સુરતના વરાછા રોડ ગીતાંજલી નજીક આવેલું છે. અને અહીંથી સુરત તેમજ તાપી જિલ્લામાં સરકારી અનાજનું વિતરણ કરવામાં આવે છે. ગોડાઉનમાં મેનેજર તરીકે ૧૧ જૂન ૨૦૧૮થી ૨૯ નવેમ્બર ૨૦૧૮ સુધી ફરજ બજાવનાર બી.કે.પરમારની પાસે ગાંધીનગરથી નિયમ મુજબ અર્ધ વાર્ષિક અહેવાલ અનેક ગોડાઉન સ્ટોક મંગાવવામાં આવ્યો હતો. પરંતુ તેમણે મોકલ્યો ન હતો. ઉપરાંત તેમની બદલી પાલનપુર થતાં તે પોતાની ઓફિસને તાળું મારી સુરતમાં મૂકાયેલા મેનેજર આર.એમ.પટેલને ચાવી આપ્યા વિના ચાલ્યા ગયા હતા.
શંકાના આધારે રાજ્ય સરકારે મોકલેલા અને વિતરણ કરાયેલા સરકારી અનાજના જથ્થા અને અન્ય ચીજવસ્તુઓના સ્ટોકની ગણતરી ગાંધીનગરથી નિયુક્ત કરેલી એક કમિટીએ કરી હતી. ગણતરી દરમિયાન મેનેજર બી. કે. પરમારે ૧૦૩૬.૭૪ ક્વિન્ટલ ઘઉં, ૨૦૯.૦૪ ક્વિન્ટલ ચોખા, ૧૧ ક્વિન્ટલ ખાંડ અને નીમ પ્રોડક્ટની અલગ અલગ વસ્તુઓ મળી કુલ ૪૭.૯૮ લાખની સરકારી અનાજ અને વસ્તુઓ સગેવગે કરી કૌભાંડ આચર્યું હોવાનો ખુલાસો થયો હતો. જેથી તેમને તપાસ સમિતિ સમક્ષ હાજર થવા નોટીસો પાઠવવામાં આવી હતી પરંતુ તે હાજર ન થતાં એમને ફરજ મોકૂફ કરાયા હતા. સરકાર સાથે છેતરપિંડી કરનાર બી કે પરમાર વિરુદ્ધ અઠવાડિયા અગાઉ જ સુરતમાં બદલી પામી આવેલા નાયબ જિલ્લા મેનેજર ઉષાબેન ભોયેએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસ કરી રહી છે.