Charotar Sandesh
ઈન્ડિયા

છત્તીસગઢ અથડામણમાં શહીદ થયેલા જવાનોની શહાદત બેકાર નહિ જાય : ભૂપેશ બઘેલ

રાયપુર : છત્તીસગઢના જિલ્લા બીજાપુરના સુકમા અથડામણ પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે જવાનોની શહાદત બેકાર નહિ જાય. ભૂપેશ બઘેલે કહ્યું કે સુરક્ષાબળો અને નક્સલવાદીઓ વચ્ચે સતત ૪ કલાક સુધી ફાયરિંગ થયું છે, આ એન્કાઉન્ટરમાં નક્સલવાદીઓનું બહુ નુકસાન થયું છે. ૭ ઘાયલોને રાયપુર શિફ્ટ કરી દેવાયા છે તેઓ ખતરાથી બહાર છે. જ્યારે ૨૧ જવાન હજી પણ લાપતા છે. તેમને રેસ્ક્યૂ કરવા માટે ટીમ રવાના કરી દેવાઈ છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે સુકમા-બીજાપુર બોર્ડર પર થયેલ એન્કાઉન્ટરને લઈ ફોન પર વાત કરી છે.

સીએમઓ તરફથી મળેલી જાણકારી મુજબ ગૃહમંત્રી અમિત શાહે સીએમ ભૂપેશ બઘેલ સાથે શનિવારે અને રવિવારે પણ ફોન પર વાત કરી છે. સીએમ બઘેલે કહ્યું કે તેઓ હાલ આસામ ગુવાહાટીમાં અને સાંજે છત્તીસગઢ જશે. ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિનો રિપોર્ટ લેવા માટે સીઆરપીએફના મહાનિદેશકને રાજ્યમાં જવાનો નિર્દેશ આપ્યો હતો. જે બાદ આજે એટલે કે રવિવારે સીઆરપીએફના મહાનિદેશક (ડીજી) કુલદીપ સિંહ ઓપરેશનલ કાર્ય અને સ્થિતિનો રિપોર્ટ લેવા માટે છત્તીસગઢ પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુંસાર ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને કહ્યું કે નક્સલીઓથી જીતવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મળીને કામ કરવું પડશે અને આપણે એક સાથે આ લડાઈ અવશ્ય જીતશું.

અમિત શાહે રાજ્ય સરકારને ભરોસો અપાવ્યો છે કે કેન્દ્ર સરકાર તરફથી જે કંઈપણ જરૂરી મદદ હશે તે રાજ્ય સરકારને અપાશે. સીઆરપીએફના મહાનિદેશક કુલદીપ સિંહે છત્તીસગઢ પહોંચ્યા બાદ કહ્યું કે સુકમા એનકાઉન્ટર બાદથી ૨૧ સુરક્ષાકર્મી લાપતા છે, જેમાં આ ૭ સુરક્ષાકર્મી સીઆરપીએફના છે. ઘટનામાં અત્યાર સુધી ૫ જવાન શહીદ થઈ ગયા છે. જીવ ગુમાવનાર ૫માંથી ૨ જવાન સીઆરપીએફના છે. જ્યારે ૩૧ ઘાયલોમાંથી ૧૬ ઘાયલ જવાન પણ સીઆરપીએફના છે.

Related posts

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૮૭.૭૩ લાખને પાર : મૃત્યુઆંક ૧.૨૯ લાખને પાર…

Charotar Sandesh

શ્રીનગરમાં આતંકી હુમલો : બે જવાન શહિદ…

Charotar Sandesh

એન્કાઉન્ટર : ગેંગસ્ટર અતિક અહેમદના દીકરા અસદ અને શુટર ગુલામનું કરાયું એન્કાઉન્ટર

Charotar Sandesh