અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો કહેર ચરમસીમાએ પહોંચ્યો છે અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં તો કોરોનાનો બોમ્બ ફાટ્યો હોય તેમ પોઝિટીવ કેસોની સંખ્યા વધતી જાય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા આવેલા કમિશનરે શહેરીજનો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. કમિશનરે ગુરુવારે અમદાવાદમાં તમામ દુકાનો બંધ રાખવા અને માત્ર દવા અને દૂધની જ દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે આજે સવારે શહેરના અમુક વિસ્તારોમાં ચિત્ર કંઈક અલગ જોવા મળ્યું હતું.
આજે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનરના નિર્ણયને લોકો ઘોળીને પી ગયા હોય તેમ ચુસ્ત લોકડાઉનના ધજાગરા જોવા મળ્યા હતા. આજે સવારે બોપલ અને ઘુમા વિસ્તારમાં શાકભાજી-ફળવાળા, પ્રોવિઝન સ્ટોર ખુલ્લા દેખાયા હતા. બોપલવાસીઓએ સરેઆમ ઉલ્લંઘન કરી શાકભાજી અને વસ્તુઓ લેવા બહાર નીકળી પડ્યા હતા. આ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીમાં શાકભાજીની લારી અને ટેમ્પાવાળા પહોંચી ગયા હતા. માત્ર દવા અને દુધની જ દુકાનો ચાલુ રાખવાની જાહેરાત બાદ પણ લોકો સરેઆમ કાયદાનો ભંગ કરીને બહાર નીકળી પડ્યા હતા, તેમ છતાં પોલીસ પણ ક્યાંય દેખાઈ નહોતી. પોલીસ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા ન હતાં.
અમદાવાદના બોપલમાં તંત્રની નિષ્ક્રિયતા ફરી એકવાર છતી થઈ છે. ન.પા.ના આદેશ છતાં બોપલ-ઘુમામાં શાકમાર્કેટ અને કરિયાણાની દુકાનો ખુલ્લી રહેતા તંત્ર સામે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે. આજે સવારે બોપલ નગરપાલિકાના આદેશ છતાં દુકાનોની બહાર લોકોની કતારો જોવા મળી હતી. ત્યારે આ વિશે તેમને પુછતાં દુકાનદારનો લુલો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જનતા ઉઠાડવા આવી એટલે અમારે દુકાનો ખોલવી પડી છે.
એટલું જ નહીં, સુરતમાં પણ લોકડાઉનના ધજાગરા જોવા મળ્યા હતા. સુરતમાં પણ આજે સવારે શાકભાજી માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી હતી. અમદાવાદ બાદ સુરતમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે તે બીક અને છઁસ્ઝ્ર બંધ થવાના ભયથી સુરતમાં આજે ભીડ ઉમટી પડી હતી. અહીં માર્કેટમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.