વડોદરા : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં રાત્રે ૩ વાગ્યે ગાબડું પડ્યું હતું. જેથી ખેડૂતો તુરંત ખેતરમાં પહોંચી ગયા હતા અને કેનાલમાં પાણી બંધ કરવા માટે નર્મદા કેનાલના અધિકારીઓને વિનંતી કરી હતી પરંતુ પાણી બંધ ન કરવામાં આવતા ખેડૂતો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઇ જતા ઉભા પાકને નુકસાન થયું હતું. જોકે સ્થળ પર પહોંચેલા અધિકારીએ પોતાની જવાબદારીમાંથી છટકીને કોન્ટ્રાક્ટર્સ પર જવાબદારી નાખવાના પ્રયત્નો કર્યાં હતા.
સાદરા ગામના ખેડૂત પ્રવીણભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, કેનાલનાં અણઘડ વહીવટને કારણે અમને નુકસાની ભોગવવી પડી રહી છે. અમારી જમીનો ચોમાસુ પાક ફેલ ગયો હતો અને હવે શિયાળુ પાકમાં પણ ઘૂંટણસમા પાણી ફરી વળતા પાક નષ્ટ થઇ ગયો છે. અમારો ચોરી, બાજરી, ઘઉંના પાકને નુકસાન થયું છે. અધિકારીઓ જવાબદારી કોન્ટ્રાક્ટર પર ઢોળી રહ્યા છે પરંતુ જો અમને યોગ્ય વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલન કરીશું.
સાદરા ગામના ખેડૂત શેલેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મારો ખેતરમાં ચોરીનો પાક તૈયાર છે અને નર્મદા કેનાલ તૂટતા આખા ખેતરમાં પાણી ફરી વળ્યા છે. મારા બે વિઘાના ખેતરમાં ૬૦ હજાર રૂપિયાનું નુકશાન થયું છે.