લોન મોરેટોરિયમ કેસમાં નવી એફિડેવિટ દાખલ કરી કેન્દ્રે હાથ અદ્ધર કર્યા…
સરકારે હાથ ઉંચા કરી દીધા, મોરેટોરિયમમાં હવે કોઇ રાહત સંભવ નથી, સરકારે વિવિધ ક્ષેત્રોને પૂરતી રાહત આપી છે, આ સિવાય અન્ય રાહત આપવી દેશના અર્થતંત્ર બેન્કિંગ સેક્ટર માટે હાનિકારક સાબિત થઈ શકે છે…
ન્યુ દિલ્હી : લોન મોરેટોરિયમ મામલામાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ૨ કરોડ સુધીની લોન માટે ચક્રવૃદ્ધિ વ્યાજને માફ કરવા ઉપરાંત કોઈ અન્ય રાહત આપવી રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને બેંકિંગ ક્ષેત્ર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કેન્દ્રએ કહ્યું છે કે, પહેલાથી જ સરકારે નાણાકીય પેકેજોના માધ્યમથી રાહતની જાહેરાત કરી હતી, તે પેકેજમાં વધુ છૂટછાટ આપવી સંભવ નથી. ચક્રવૃદ્ધિ વ્યાજની છૂટ અને દેવા પર વિવિધ ક્ષેત્રોને રાહત આપવા પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ એફિડિવિટ દાખલ કરી છે.
એફિડેવિટમાં કેન્દ્રએ કહ્યું કે, પોલિસી સરકારનું ડોમેન છે અન કોર્ટે સેક્ટર વિશિષ્ટ નાણાકીય રાહતમાં ના જવું જોઈએ. કેન્દ્રએ એવું પણ કહ્યું કે, જનહિત અરજીના માધ્યમથી ક્ષેત્ર વિશેષ માટે રાહતની માગ ના કરી શકાય. પોતાની એફિડેવિટમાં કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે, સંકટ સમાધાન માટે ઉધાર આપનારી સંસ્થાઓ અને તેમના ઉધારકર્તા પુનર્ગઠન યોજના બનાવે છે, કેન્દ્ર અને RBI તેમાં હસ્તક્ષેપ ના કરી શકે.
સરકારે કોર્ટને જણાવ્યું કે, ૨ કરોડ સુધીની લોન માટે ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાની રીતોને કેબિનેટ દ્વારા મંજૂરી મળ્યા બાદ જાહેર કરવામાં આવશે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, બેંકોએ અધિસૂચનાની તારીખથી એક મહિનાની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજ માફી યોજના લાગૂ કરવી પડશે. કેન્દ્રએ જણાવ્યું કે, ૩ લાખ કરોડ રૂપિયાની MSME ઈમરજન્સી ક્રેડિટ પોલિસી પહેલાથી જ લોન્ચ કરવામાં આવી છે, જેથી તે નિયમિત પરિચાલનમાં પાછા આવી શકે.
કેન્દ્રએ કહ્યું કે, કામત સમિતિના રિપોર્ટના આધાર પર મહામારી સામે લડવા માટે ક્ષેત્ર વિશેષ રાહત માટે એક વિશેષ સૂત્ર પર પહોંચવું સંભવ નથી. કોર્ટને જણાવવામાં આવ્યું કે, ગંભીર આર્થિક અને નાણાકીય તણાવને ધ્યાનમાં રાખતા સરકાર અને RBI દ્વારા નિર્ણય લેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે વિવિધ ક્ષેત્રોમાં ઉધારકર્તાઓ માટે રાહત પર વિચાર કરવા માટે સરકારને એક અઠવાડિયાનો સમય આપ્યો હતો કારણ કે સરકારે પોતાની પહેલી એફિડેવિટમાં કહ્યું હતું કે, MSME માટે ૨ કરોડ સુધીની લોન અને ૬ મહિના સુધીની મુદત દરમિયાન વ્યક્તિગત લોન માટે વ્યાજ પર છૂટ આપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે કામત સમિતિના રિપોર્ટને રેકોર્ડ કરવા માટે કહ્યું હતું, જેમાં મોટા આધારકર્તાઓની લોનના પુનર્ગઠનની તપાસ કરવામાં આવી હતી. આ મામલામાં ૧૩ ઓક્ટોબરે સુનાવણી થવાની છે. તો બીજી તરફ RBIએ પોતાની એફિડેવિટમાં કહ્યું છે કે, છ મહિના કરતા વધુ લાંબી મુદત ઉધારકર્તાઓને ક્રેડિટ વ્યવહારને પ્રભાવિત કરી શકે છે અને નિર્ધારિત ચુકવણીને ફરીથી શરૂ કરવામાં વિલંબના જોખમને વધારી શકે છે.