અરવલ્લી : આખા દેશમાં કોરોનાનો કહેર છે ત્યારે આંતર રાજ્ય બોર્ડર પણ સીલ કરી દેવામાં આવી છે. જેમની પાસે જવા માટેના પાસ હોય તેવા જ લોકો અવરજવર કરી શકે છે. તમામ લોકો માટે પરિવહન હાલ બંધ છે. આવી પરિસ્થિતમાં આજે સવારે રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર આવેલી શામળાજી બોર્ડ પાસે વાહનોની ૫ કિમીથી વધારે લાંબી કતાર થઇ ગઇ હતી. અહીં આશરે ૬૦૦થી વધારે વાહનોને રોકી રાખવામાં આવ્યા હતા. જેના કારણે ત્યાં ટ્રાફિક જામનાં દ્રશ્યો સામે આવ્યાં હતા. જોકે, આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થવાને કારણે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ગઇકાલ સુધીનાં પાસ ધારકોને ગુજરાતમાંથી રાજસ્થાન જવા દેવાની મંજૂરી આપવામાં આવી હતી.
આવી વિકટ પરિસ્થિતિમાં સવારે આ બોર્ડર બંધ કરી દેવામાં આવી હતી પરંતુ આજે ફરીથી ખોલી દેવાની ફરજ પડી હતી. આ વાહનો ચાલકોને ગુજરાત પોલીસ અને રાજસ્થાન પોલીસની સમજાવટ બાદ જવા દેવામાં આવ્યાં હતા.
મળતી માહિતી પ્રમાણે, ૫૦૦થી વધારે ગાડીઓએ રાજસ્થાનમાં પ્રવેશ મેળવ્યો છે. આજે ઇસ્યુ કરાયેલા પાસ ધારકોને પ્રવેશ નહીં મળે પરંતુ ગઇકાલ સધી ઇશ્યુ થયેલા લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આજે સવારે શામળાજી બોર્ડર પાસે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતાં. જેના કારણે ૫ કિમી લાંબી લાઇન થઇ ગઇ હતી. અહીં આવેલા વાહન ચાલકો પાસે જવા માટેનો પાસ પણ હતો તે છતાં તેમને જવા દેવામાં ન આવતા આ લોકો અકળાયા હતાં.