આણંદ : એક તરફ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ થાળે પડવાનું નામ નથી લઈ રહી, ત્યારે હવે નવા રોગે માથું ઊંચકતાં સ્થાનિક આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું છે. બનાસકાંઠા તેમજ આણંદ જિલ્લામા ડિપ્થેરિયા નામની બીમારીએ માથુ ઉચક્યું છે. બનાસકાંઠામાં ૪ બાળકોના ડિપ્થેરિયાથી શંકાસ્પદ મોત સામે આવ્યા છે, તો આણંદ જિલ્લામાં ૪ બાળકોના ડિપ્થેરિયાથી અને એક બાળકનુ શંકાસ્પદ ડિપ્થેરિયાથી મોત નિપજ્યું છે.
દોઢ બે મહિનાથી બનાસકાંઠા જિલ્લામા ડિપ્થેરિયાએ માથુ ઉંચક્યુ છે અને બાળકોના મોતનો સિલસિલો ચાલી રહ્યો છે. થરાદમાં શંકાસ્પદ ૪ બાળકોના મોતથી બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીઓ થરાદ હોસ્પિટલની મુલાકાત પણ લીધી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય શંકાસ્પદ ડિપ્થેરિયાના બાળકોની આરોગ્ય અધિકારીએ મુલાકાત લીધી છે. તેમજ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવાની પણ સ્ટાફને ટકોર કરી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ લોકોને સાવચેત રહેવા તેમજ આ રોગના લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ આ જ સમયગાળમાં બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરિયાથી ૧૧ બાળકોના મોત નિપજ્યા છે. ત્યારે ફરી એકવાર ડિપ્થેરિયા બાળકોનો ભોગ લઈ રહ્યો છે. હાલ આરોગ્ય વિભાગે ૧૦ ટીમો બનાવી ડિપ્થેરિયાના અન્ય કેસો શોધવાની કામગીરી શરૂ કરી છે. શંકાસ્પદ કેસોને શોધી ડીપીટી/ટીડી રસી આપવાની કાર્યવાહી આરંભી દેવાઈ છે.