આણંદ : રાજ્યના પૂર્વ કોગ્રેસ પ્રમુખ અને કોગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિહ સોલંકી છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની બીમારીમા સપડાયા છે. ગત રર જૂનથી તેઓની સારવાર ચાલી રહી છે. તેઓને અગાઉ પ્લાઝમા થેરેપી આપવામાં આવી હતી. પરંતુ તેઓની તબિયતમાં સુધારો થયો ન હતો. હાલમાં તેઓને સીમ્સ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જયાં તેઓની હાલત સ્થિર હોવાનું અને સીમ્સના ડોકટરોની ટીમ એઇમ્સના ડોકટરોની ટીમના સંપર્કમાં હોવાનું જાણવા મળે છે.
ભરતસિંહ જલદીથી સારા-સાજા થઇ જાય તે માટે ખેડા જિલ્લા કોગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા યાત્રાધામ ફાગવેલ ખાતે ભાથીજી મહારાજના સાનિધ્યમાં મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું હતું. યજ્ઞમાં કોંગી આગેવાનોએ ભરતસિહ સોલંકીના સારા સ્વાસ્થ્ય માટે પૂજા-અર્ચના કરી હતી. યજ્ઞમાં પ્રદેશ ઉપપ્રમુખ માલસિહ રાઠોડ, જિલ્લા પ્રમુખ રાજેસ ઝાલા, ધારાસભ્યો કાળુસિહ ડાભી, ઇન્દ્રજીતસિહ પરમાર, કાંતિભાઇ શાહભાઇ પરમાર, કઠલાલ તાલુકા કોગ્રેસ પ્રમુખ શનાભાઇ મંદિર, ટ્રસ્ટી ઉદેસિહ રાઠોડ વગેરે હાજર રહ્યા હતા.