આણંદ : આગામી સમયમાં તા.૧૪-૧૫/૦૧/૨૦૨૧ના રોજ ઉત્તરાયણ તહેવાર તથા તા.૨૬મી જાન્યુઆરી ઉજવવામાં આવનાર હોય તેમજ હાલ દેશમાં કોરોના વાયરસ અંગે સરકાર તરફથી લોકડાઉન અંગે તમામ તકેદારીના પગલાં લેવામાં આવેલ હોઇ તેમજ હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પી. સી. ઠાકોરે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧)થી મળેલ સત્તાની રૂઇએ સમગ્ર આણંદ જિલ્લામાં હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે તેનાથી શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા, કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખી ફરવા, મનુષ્યો અથવા શબ તેમજ પૂતળા દેખાડવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બિભત્સ સૂત્રો પોકારવા અથવા અશ્લીલ ગીતો ગાવા કે જેનાથી સુરૂચિનો ભંગ થાય તેવું ભાષણ કરવા, તેવા ચિત્રો, પત્રિકાઓ કે પ્લેકાર્ડ અથવા બીજા કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવા, બતાવવા અથવા તેનો ફેલાવો કરવા કે દેશ વિરોધી નારાઓ પોકારવા જેવા કૃત્યો કરવા ઉપર તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા.૧૫/૦૧/૨૦૨૧ સુધી મનાઇ ફરમાવવામાં આવી છે.
જયારે આ જાહેરનામાથી સરકારી નોકરીમાં કામ કરતી કોઇપણ વ્યકિત કે જેને તેના ઉપરી અધિકારીએ આવું કોઇપણ હથિયાર લઇ જવાનું ફરમાવ્યું હોય અથવા જેની ફરજ હોય કે જેમને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અધિક જિલ્લા
મેજિસ્ટ્રેટશ્રી, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે તેમણે અધિકૃત કરેલ કોઇપણ પોલીસ અધિકારીએ જેને શારીરિક અશકિતને કારણે લાકડી કે લાઠી લઇ જવાની પરવાનગી આપી હોય તેવી વ્યકિતઓને મુકિત આપવામાં આવી છે.
આ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.